Mysamachar.in-જામનગર
ઉપરવાસમાં પડેલા વધુ વરસાદને કારણે જામનગર અને આજુબાજુનાં ગામડાઓની સ્થિતિ કફોડી બની છે. આ સ્થિતિને પહોચી વળવા માટે એલ.જી. હરિઆ સ્કૂલે પણ પોતાનું યથાશકિત યોગદાન આપ્યું છે. અસરગ્રસ્તોની મદદ કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાના ઘરમાં પડેલા તથા આજુ બાજુના વિસ્તારમાંથી પહેરવા ઓઢવા લાયક કપડાનું એકત્રિકરણ કરીને જામનગર શહેરમાં પોતાની સેવાની કિર્તી ફેલાવી છે. અંદાજે 6000 જેટલા કપડાં આ સેવાયજ્ઞમાં એકત્રિત થયાં હતા. સ્પ્રેડ હ્યુમેનિટી એન.જી.ઓ ગ્રુપનાં મોહિત વાકાણી અને તેની ટીમે એકત્રીત કરેલા કપડાઓને યોગ્ય જગ્યાએ પહોચાડવાની તજવીજ હાથ ધરી હતી.
આ સમગ્ર સેવા અભિયાનમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ, એલ.જી. હરિઆ સ્કૂલનાં આચાર્ય ધવલ પટ્ટ, શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ટીમે આ કાર્યમાં પોતાનું ઉમદા યોગદાન આપીને માનવતાની મહેક પ્રસરાવી હતી. ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ઉદાત ભાવનાને વરેલી એલ. જી. હરિઆ સ્કૂલ આવા સેવાયજ્ઞમાં હરહમેશ પોતાનું યોગદાન નોધાવતી રહી છે એનો સૌ નગરવાસીઓને અનેરો આનંદ છે. ભવિષ્યમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં એલ.જી. હરિઆ સ્કૂલ અગ્રેસર રહેશે.