Mysamachar.in-જામનગર
જામનગરમાં એક તરફ જેટલા ક્રિકેટ રસીકો છે તે પ્રમાણે રમવા તેમજ પ્રેક્ટીસ કરવા પુરતા નથી મોટા આસામીઓની જમીન રમવા માટે મળે છે તે વળી રાહત છે તેમા વળી જામનગરનુ એકમાત્ર સમ ખાવાનુ જે ક્રિકેટ ગ્રાઉન્ડ અને અજીતસિંહ પેવેલીયન રાજાશાહી વખતનુ છે તેને પણ ઘોકલુ બનાવાની પૈરવી થતી હોઇ હવે નગરના યુવાનો રમતપ્રેમીઓ આ વિગતો જાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર હલ્લાબોલ કરશે કે શુ?? કેમકે ગ્રાઉન્ડ ઉપર બીજા બાંધકામની જાણ થતી રહેશે તેમ જનઆક્રોશ ભભુકશે એવુ લાગે છે,
ક્રિકેટ ગ્રાઉન્ડ તો ખુલ્લુ જ હોય તેમા આડા અવળા બાંધકામ બીજી પ્રવૃતિ શા માટે કરવા જોઇએ? તેવો સવાલ ઉઠ્યો છે કેમકે કોચ સંદીપ ચૌહાણ જણાવે છે ક્રિક્રેટ ગ્રાઉન્ડ ઉપર સ્વીમીંગ પુલ મ્યુઝીયમ બેડમીન્ટન કોચ વગેરે બને છે પરંતુ કેવુ બને છે કેટલી પ્રોજેક્ટ કોસ્ટ વગેરેથી તેઓ પણ અજાણ હોઇ પબ્લીક તો અજાણ હોય ત્યારે આ ઐતિહાસિક વિરાસતને રોંદવાનુ નાશ કરવાનુ ભેજુ કોનુ છે?? તેને જાણકારો શોધે છે.
રણજી ટ્રોફી દુલીપ ટ્રોફી જામનગરથી પાંગરેલો ક્રિકેટ જગતનો વિચાર છે જે આજે ફેમસ છે તેવા રાજવી વખતના ક્રિકેટ સંભારણાને સાંકડુ કરશે તો ક્રિકેટ ખેલાડીઓને રમવામા જગ્યાની ઘટ પડવાની તેમજ પ્રેક્ટીસ માટે બાળકો યુવાનો સૌ સરેરાશ ત્રણસો આવતા હોય તેમને પણ પુરતી જગ્યા નહિ મળે તેવી ભિતિ છે છતા આ નવા બાંધકામનુ નક્કિ થઇ ગયુ અમુક કામ શરૂ થયા અમુક હવે થશે એમ જાણવા મળ્યુ છે તે ચિંતાની બાબત છે.
જામનગરના પૂર્વ રાજવીઓની અમૂલ્ય ભેટ અને ઐતિહાસિક ક્રિકેટ બંગલાના મેદાન (અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન) હવે ક્રિકેટની રમત રમવાને લાયક જ ન રહે તેવી રીતે રાજ્ય સરકાર દ્વારા આ મેદાન ફરતે ચારે તરફ અલગ અલગ બાંધકામોના કમઠાણો ખડકાઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ક્ષેત્રે જામરણજીતસિંહજીથી લઈને વિનુ માંકડ સલીમ દુરાની અજય જાડેજા હાલના રવિન્દ્ર જાડેજા સહિતના ક્રિકેટ ખેલાડીઓએ જામનગરનું નામ રોશન કરી જામનગરની એક ગૌરવવંતી ઓળખ ઊભી કરી છે.
થોડા વર્ષો પૂર્વે રાજ્ય સરકારે આ મેદાન હસ્તગત કર્યું છે. અહીં બેડમિન્ટન હોલ તથા બિલિયર્ડ, ટેબલ ટેનિસ રમવાની પણ સુવિધા હતી, પણ રાજ્ય સરકારે મેદાન હસ્તગત કર્યા પછી સબ કોચીંગ સેન્ટરની ઓફિસ ત્યાં ખોલી નાંખી… અને ધીમે ધીમે રાજ્ય સરકારની નજર આ મેદાન ફરતેની જગ્યા ઉપર ગઈ… બસ… કોઈપણ જાતનો વિચાર કર્યા વગર ક્રિકેટ બંગલાની આસપાસ સ્વીમીંગ પુલ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ વિગેરે માટેના બાંધકામો કરી નાંખ્યા છે. આ ઉપરાંત હવે હોસ્પિટલ એન્ડ પરના ખૂણા પાસેની જગ્યામાં પણ કોઈ નવું બિલ્ડીંગ ઊભું કરવા માટે કામગીરી ચાલુ કરી દીધી છે.
જામનગરના કેટલાય યુવા ક્રિકેટરો સવારથી સાંજ સુધી અહીં ક્રિકેટની પ્રેકટીશ માટે આવે છે અને જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની તમામ સીરીઝ ટુર્નામેન્ટમાં ભાગ લ્યે છે. તેમાંથી અનેક ખેલાડી જે તે સ્તરે સૌરાષ્ટ્રની ટીમમાં, ઝોન કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી આગળ વધ્યા છે જેનું હાલનું શ્રેષ્ઠ ઉદાહરણ રવિન્દ્રસિંહ જાડેજા છે. જો આ જગ્યા પર મ્યુઝિયમ બનશે તો મેદાન સિવાય કંઈ વધશે નહીં જેના કારણે ઉગતા પ્રતિભાશાળી બાળકોની ક્રિકેટ કારકિર્દી શરૂ થવાના પહેલા જ ખતમ થઈ જશે. આ મ્યુઝિયમ બનવાથી પ્રેક્ષકો માટેની લગભગ કોઈ જગ્યા વધશે નહીં.
ક્રિકેટ બંગલામાં 600 બાળકો ક્રિકેટને કેરિયર બનાવી રહ્યા છે. જેમાં 200 જેટલા સરકારી ક્રિકેટ એકેડમીમાં છે. નવાનગર ક્રિકેટ એકેડમીમાં 400 બાળકો તાલીમ લઈ રહ્યા છે. મ્યુઝિયમથી આ બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડશે. કારણ કે, તેઓ રોજ તો મુખ્ય પીચ પર પ્રેક્ટિસ નહી કરી શકે આમ એક તરફ રમશે ગુજરાત જીતશે ગુજરાત, ખેલ મહાકુંભ જેવા રૂપકડા સુત્રો હેઠળ વિવિધ રમતોને સરકાર પ્રોત્સાહિત કરવાની વાતો કરે છે પણ વાસ્તવિકતા કઈક અલગ હોય તેમ લાગે છે.
– રાજકીય મહાનુભાવો ગંભીરતા લે તેની જરૂર
જામનગરના ક્રિકેટ પ્રેમીઓ, યુવા ક્રિકેટ ખેલાડીઓની લાગણીને સદંતરપણે અવગણવામાં આવી રહી છે. ક્રિકેટ બંગલાના મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ઉપસ્થિત રહેનારા રાજકીય મહાનુભાવોએ પણ આ બાબતે ગંભીરતા લેવી ઘટે છે.