Mysamachar.in-જામનગર:
જામનગરમાં ભૂગર્ભગટર શાખાની ભૂગર્ભ પ્રવૃતિઓ વિષે તપાસ શરૂ કરવાનો સમય પાકી ગયો હોય એવું દેખાઈ રહ્યું છે ! આ શાખાનાં કેટલાક અધિકારીઓને બહુ ઉપરથી કોઈનાં આશિર્વાદ હોય તેવું સમજાઈ રહ્યું છે ! કેમ કે, નગરજનો અને વિપક્ષને ન ગાંઠતી આ શાખા શાસકપક્ષને પણ ભાજીમૂળો લેખે છે ! શાસકપક્ષના નગરસેવકને પણ ન ગણકારતા આ અધિકારીઓ ખુદ ડેપ્યુટી મેયરને પણ જવાબ આપતાં નથી ! સૌથી શક્તિશાળી કમિટી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆતો પછી પણ, પ્રશ્નોનું નિવારણ ન થતાં આ આખો મામલો છેક મીડિયાના શરણે પહોંચ્યો છે ! કલ્પના કરો, અધિકારીઓની તાકાત કેટલી ગંજાવર ?!
બુધવારે વોર્ડ નંબર 9 નાં જાગૃત કોર્પોરેટર નિલેશ કગથરાએ ભૂગર્ભ ગટર શાખાનાં અધિકારીઓનાં ગંદા લૂગડાં જાહેરમાં ધોયાં ! જેને કારણે શાસકપક્ષ પણ સમસમી ગયો હશે !! જાગૃત નગરસેવક નિલેશ કગથરાએ તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ આણદાબાવા ચકલા તથા કલ્યાણજી ચોક વગેરે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર શાખાની કામગીરી યોગ્ય ન હોવાનું કહ્યું. કેવા કંટાળ્યા હશે આ કોર્પોરેટર કે કહ્યું કે પોતાના ખર્ચે ભૂગર્ભ ગટર વ્યવસ્થા નિર્માણ કરવા પણ તૈયારી દેખાડી ! કોર્પોરેશનની આ શાખા પાસે કામ માટે ફદીયા નથી ?! કે, કામ કરવાની દાનત જ નથી ?! એવો પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે.
ત્યારબાદ આજે ગુરૂવારે ખુદ ડેપ્યુટી મેયર ધગી ઉઠયા છે ! વોર્ડ નં. 11ના આ નગરસેવક તપન પરમાર લખે છે: અનેક (!) રજૂઆતો પછી પણ ભૂગર્ભ ગટર શાખા કામ કરતી નથી ! ભૂતકાળમાં આ ફરિયાદો સંબંધે મેયર તથા વિપક્ષની હાજરીમાં કોર્પોરેશને રોજકામ પણ કરેલું ! પાછલાં સોળ-સોળ વર્ષથી ભૂગર્ભ ગટરનાં કામમાં લેવલ પણ ચેક કરવામાં આવ્યું નથી ! ગેપપીસ પણ મૂકવામાં આવ્યા નથી ! વોર્ડ નં 11 માં આ કામગીરી ડી.આર. અગ્રવાલ નામની એજન્સીએ કર્યું છે. ત્યારે, સુપરવિઝન કોણે કર્યું હતું ?! તેનાં રિપોર્ટ શું છે ?! ગંદા પાણીના નિકાલ થતાં નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રજૂઆતો છતાં પરિણામ શૂન્ય !! ભૂગર્ભ ગટર નાં મેઈન હોલનું પાણી રસ્તા પર પથરાઈ જાય છે, એમ પણ ડેપ્યુટી મેયર કહે છે ! વોર્ડ નં 11 માં લોકો શૌચાલયનો પણ ઉપયોગ કરી શકતાં નથી ! ડેપ્યુટી મેયર કહે છે: 10 દિવસમાં આ પ્રશ્નોનું નિવારણ ન થાય તો, કમિશનરને અનુરોધ છે કે, સંબંધિત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે..જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના દાયકાઓથી લંગડાતી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં આ કામગીરી પાછળ કરોડો રૂપિયા સ્વાહા થઈ ચૂક્યા છે. દાયકાઓ પછી પણ, આજની તારીખે આ શાખા ઘણાં કોન્ટ્રાકટરને વર્ષે દહાડે તોતિંગ રકમ ‘ સફાઈ ‘ માટે ચૂકવે છે જેને કરદાતા નગરજનોની તિજોરીની ‘ સફાઈ’ થતી રહે છે, ફરિયાદો અવિરત ચાલુ રહે છે !
શહેરમાં રસ્તાઓના લેવલે ગટરની કુંડીઓ ન બનાવવી, ગટરનાં ઢાંકણ નબળી કવોલિટીનાં વાપરવા, ઢાંકણો ચોરાઈ જવાનાં કિસ્સાઓમાં ચોર સુધી ન પહોંચવાની ગુનાહિત બેદરકારી, મેનહોલ અને રસ્તાઓના લેવલની બાબતમાં વેઠ ઉતારવી, મેનહોલ અને ગટરોની સફાઈમાં લાલિયાવાડી, ગટરનાં કામોમાં લોટ, પાણી અને લાકડાં, ફરિયાદોનો યોગ્ય અને કાયમી નિકાલ ન કરવાની ગુનાહિત નીતિને કારણે ફરિયાદોનું વારંવાર પુનરાવર્તન થવું, કોન્ટ્રાકટરોને થાબડભાણા કરવા અને ફરિયાદો સંબંધે લોકોને બાળાગોળીઓ પિવડાવવી, દર પંદર દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભૂગર્ભ ગટર કામગીરીનાં બિલો મંજુર કરાવી લેવાની તથા શંકાસ્પદ બિલો રજૂ કરવાની નીતિ, શહેરનાં નવા નવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો બનાવવામાં યોગ્ય સક્રિયતા ન દાખવવી, નવા નવા કામોને સતત લંબાવતા જવું અને એ રીતે બકરીનું દૂઝાણુ ચાલુ રાખવું વગેરે ખાસિયતો ધરાવતો આ વિભાગ અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ગટરમાં પધરાવી ચૂક્યો છે.
આજની તારીખે પણ આ વિભાગમાં ખર્ચનું મીટર સતત અને ઝડપથી ફર્યા કરે છે ! આ શાખા પર કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓએ વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે એવું નગરજનો માની રહ્યા છે. માત્ર સેમ્પલ પુરતી ફરિયાદોની સંખ્યાની વાત કરીએ તો, 1 એપ્રિલથી 21 સપ્ટેમ્બર સુધીમાં ભૂગર્ભ ગટર શાખામાં કુલ 5,172 ફરિયાદોનો ધોધ વહ્યો છે ! આટલી બધી ફરિયાદ શા માટે આવે છે ? યોગ્ય સફાઈ અને જાળવણી નથી થતી ?! કોન્ટ્રાકટર એજન્સીઓ પાસેથી અધિકારીઓ કડક હાથે કામ શા માટે નથી લેતાં તેમ આ શાખા સામે અવારનવાર આક્ષેપો થતા રહે છે.