Mysamachar.in-જામનગર
ચુંટણીમાં ઉમેદવારીપત્ર ભરવા સમયે ખુબ કાળજી રાખવાની હોય છે, પક્ષોના લીગલ સેલ અને નિષ્ણાતોનું માર્ગદર્શન લેવાનું હોય છે, પણ આ તમામ વચ્ચે જામનગર મનપાના એક જ વોર્ડમાં 2 બેઠકો પર કોંગ્રેસનો છબરડો સામે આવ્યો છે, હવે આ જાણી જોઇને કરવામાં આવ્યું, મિલીભગત કે પછી ખરેખર ભૂલ તેવો સવાલ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે, ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 9 ના મહિલા ઉમેદવાર સમયસર ચુંટણી અધિકારી પાસે ના પહોચી શકતા એક સીટ ત્યારે કોંગ્રેસના હાથમાંથી નીકળી ગઈ તો જયારે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે આ જ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવનાર દેવેન શાહના મેન્ડેટમાં છબરડાને લઈને તેનું ફોર્મ પણ રદ થઇ જતા આટલી મોટી પાર્ટીમાં અને તે જ પાછું એક જ વોર્ડમાં કેમ આવું બન્યું તે સવાલો સાથે ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. કે કોઈએ પાછલા બારણેથી કોઈ સાથે હાથ તો નથી મિલાવી લીધાને…? આજે જે ઉમેદવારીપત્ર રદ થયું તે સબબ ભાજપ લીગલ સેલના વકીલ રાજેશ ડી ગોસાઈએ વિસ્તૃત દલીલો કરી હતી અને તેને ચુંટણી અધિકારી દ્વારા માન્ય રાખીને આ ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.