Mysamachar.in-વલસાડ:
રાજ્યમાં રચાયેલ નવી સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર સહિતનો સડો નાબુદ કરી અને અરજદારોના કામો થાય તે માટે આકસ્મિક ચેકિંગ અને અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે, આજે પણ મહેસૂલ મંત્રી રાજેંદ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને આજે વલસાડ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા. અચાનક રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચતાં હડકંપ મચ્યો. તેમણે દસ્તાવેજ કરાવવા આવેલા લોકોની પણ મુલાકાત કરી હતી. સાથે એ પણ પૂછ્યું કે શું અહીં કોઈએ પૈસા માંગ્યા છે? અધિકારીઓને તાકીદ કરી કે આવનાર લોકોની બેસવાની વ્યવસ્થા ક્યાં છે, શું તમને ટોકન અને ટાઈમ આપવામાં આવ્યો છે.
અચાનક મહેસુલ મંત્રીનું પ્રોટોકોલની ગાડીમાંથી ઉતરી રિક્ષામાં જવાનું જોઈને કલેકટરથી લઈને તમામ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મેહેસુલ મેળામાં હાજરી આપવા આવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમના નિર્ધારીત સમય પહેલાં જ વલસાડ પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, મહેસુલ મેળામાં જતા પહેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રોટોકોલ તોડી અને પોતાની ગાડીમાંથી ઉતરી અને એક રીક્ષામાં બેઠા હતા.
રીક્ષામાં જ બેસી તેઓ કોઈપણ જાતની જાણ કર્યા વિના સીધા જ વલસાડની રજિસ્ટાર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં દસ્તાવેજ કરાવવા આવેલા અને પોતાનું કામ લઈને આવેલા અરજદારો સાથે મુલાકાત કરી હતી.એક કેબિનેટ મંત્રી અચાનક જ રિક્ષામાં રજીસ્ટર કચેરી સુધી પહોંચતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી. પોતાના કામ માટે કચેરીએ આવેલા અરજદારો પણ મંત્રીને જોઈને ચોંકી ગયા હતા. પોતાની કામ કરવાની આગવી શૈલી પ્રમાણે જ રાજેન્દ્ર ત્રિવેદી સીધા અરજદારો સાથે મુલાકાત કરી અને તેમની સાથે તેમની પૂછપરછ કરી હતી. અને કોઈ સમસ્યા હોય તો જણાવવા જણાવ્યું હતું. સાથે તેઓએ આ સરકારી કામમાં કચેરીમાં કોઈ કર્મચારી કે અધિકારી પૈસાની માંગણી કરે છે કે કેમ તેવી પણ અરજદારો સાથે પૂછપરછ કરી હતી. અરજદારોને એ પણ પૂછ્યું કે, નિર્ધારિત સમયમાં જ તેમનું કામ થઈ જાય છે કે કેમ..?? આ સાથે અનેક પ્રકારની પૂછપરછ કરી હતી. આમ એક અરજદારને લઈને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક કર્મચારી સાથે પણ વાતચીત કરી હતી.