Mysamachar.in-જામનગર:
આપણે સૌ જાણીએ છીએ કે, કેટલાંક અસામાજિક તત્ત્વો અને રીઢા ગુનેગારો કોઈ પણ સ્થળે ચોરી અથવા લૂંટ કે હત્યા જેવાં ગંભીર ગુનાઓને ઢાંકવા ઘણાં સ્થળોએ CCTV કેમેરામાં તોડફોડ કરે છે, કેમેરા તથા DVR ની પણ સાથેસાથે ચોરી કરતાં હોય છે જેને પરિણામે ગુનાની તપાસમાં વિઘ્નો સર્જાતા હોય છે. ગુનેગાર સુધી પહોંચી શકાતું નથી. આ સ્થિતિ નિવારવા પોલીસે નાગરિકો માટે ખાસ સૂચનો જાહેર કર્યા છે.
પોલીસવિભાગે જણાવ્યું છે કે, CCTV કેમેરાના DPR સંતાડીને રાખવા જોઈએ તથા રેકોર્ડિંગનું બેકઅપ કલાઉડમાં રાખવું જોઈએ જેથી DVR ની ગેરહાજરીમાં પણ રેકોર્ડિંગ સલામત રહી શકે. પોલીસે તહેવારોને ધ્યાનમાં રાખી જણાવ્યું છે કે, ખાસ કરીને જ્વેલર્સ તથા આંગડિયા પેઢીઓ અને સોસાયટીઓ, બંગલા તથા એપાર્ટમેન્ટમાં રહેતાં લોકોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. તહેવારોમાં ઘર-દુકાન કે ઓફિસ વધુ દિવસો સુધી બંધ હોય ત્યારે ચોરીની સંભવિત ઘટનાઓ ધ્યાનમાં રાખી લોકોએ આ પ્રકારની ટેકનિકલ જાણકારી રાખવી જરૂરી છે.
આ ઉપરાંત ખાનગી પેઢીઓના કર્મચારીઓ તથા ગનમેન સહિતના સુરક્ષા કર્મીઓ વગેરેની આઈડી – ફોટા સહિતની વિગતો હાથ પર રાખવા તેમજ કર્મચારીઓને કામ પર રાખતાં પહેલાં પોલીસ વેરિફિકેશન સહિતની બાબતોમાં લોકોએ જાગૃતિ દાખવવી આવશ્યક છે, આમ કરવાથી ચોરીઓ સહિતના ગુનાઓ અટકાવી શકાય અને ગુનાનો બનાવ બની જાય તેવાં કિસ્સાઓમાં આરોપીઓ સુધી સરળતાથી પહોંચી શકાય છે.આ ઉપરાંત જ્વેલર્સ તથા આંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારીઓનાં GPS લોકેશન પર પણ ધ્યાન આપવું જરૂરી છે.