Mysamachar.in-જામનગર
હાલ ચોમાસું નજીકમાં છે ત્યારે મચ્છરની ઉત્પત્તિમાં વધારો થવાની શક્યતા રહે છે. આજ રીતે મચ્છરજન્ય રોગો જેવાકે મેલેરિયા, ડેન્ગ્યું અને ચીકુનગુનિયાનાં કેસો પણ વધવાની શકયતા રહે છે. મચ્છરજન્ય રોગો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર આપણા ઘરોમાં સંગ્રહિત કરેલ ચોખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા (લાર્વા) એ મચ્છરના બચ્ચા છે. જો પાણીનાં પાત્રોમાં મચ્છરના પોર જોવા મળે તો ત્વરિત તેનો નાશ કરવો. મચ્છરોની ઉત્પત્તિની અટકાયત અંગે લોકોને દર્શાવ્યા મુજબની થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.
-પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા.
-પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં 2 (બે) વખત અચૂક સાફ કરો.
-પાણીના નાના ખાડા-ખાબોચિયાનાં પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો.
-ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારનો નિકાલ કરવો.
-મચ્છરોનાં કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, કીમ વગેરેનો ઉપયોગ કરો.
-દર રવિવારે સવારે 10:00 કલાકે 10:00 મિનીટ નો સમય કાઢી પાણીનાં તમામ પાત્રોની ચકાસણી કરી, જો તેમાં મચ્છરનાં પોર જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ દર રવિવારે 10:00 મિનીટ ફાળવવાથી ડેગ્યું. ચીકુનગુનિયા, મેલેરિયાથી બચી શકાય છે.