Mysamachar.in-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે બપોરે દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક ખંભાળિયા ખાતે ચૂંટણી સભા સંબોધી. તેઓએ આ ચૂંટણીસભામાં કોન્ગ્રેસ તથા આમ આદમી પાર્ટી પર આકરાં પ્રહારો કર્યા અને ભાજપાની સરકારને વિકાસની સરકાર લેખાવી હતી. તેઓએ ખંભાળિયામાં કમળ ખીલવવા મતદારોને અનુરોધ કર્યો હતો. અમિત શાહે આ સભામાં જણાવ્યું હતું કે, ખંભાળિયા બેઠક પર મુળુભાઇ બેરાને મતો આપી વિજયી બનાવજો. તેઓએ જણાવ્યું હતું કે, કોન્ગ્રેસના જમાનામાં આ પંથકમાં દાણચોરી થતી. હથિયારોની હેરાફેરી થતી. કોન્ગ્રેસિયાવનાં પેટનું પાણી પણ ન હલતું. આજે સમગ્ર ગુજરાતમાં ભાજપાએ દાણચોરો, ગુંડાઓ અને માફિયાઓનો સફાયો કર્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે અને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પહોંચાડવાનું કામ ભાજપાએ કર્યું છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે દાયકાઓ સુધી સૌરાષ્ટ્રને નર્મદા જળથી વંચિત રાખ્યું હતું. 2005 માં નરેન્દ્રભાઇએ નર્મદા ડેમની ઉંચાઇ તથા દરવાજા મુદ્દે ઉપવાસ કર્યા પછી દિલ્હીએ મંજૂરી આપી હતી. તેઓએ આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું: નર્મદા ડેમનાં કામને અટકાવનાર મેઘા પાટકરને આમ આદમી પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી હતી. તેઓએ વધુમાં કહ્યું હતું કે, નાતજાતના ભેદભાવ વગર સૌ વિકાસની રાજનીતિને મત આપજો. તેઓએ કોન્ગ્રેસના ધારાસભ્યને હરાવવા મતદારોને આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, પાણી, રસ્તાઓ વગેરેને ધ્યાનમાં રાખી ભાજપાનાં ઉમેદવાર મુળુભાઇ બેરાને મત આપી, ભૂપેન્દ્રભાઇ તથા નરેન્દ્રભાઇનાં હાથ મજબૂત કરવા મતદારોને અનુરોધ કર્યો.
અમિત શાહની આ ચૂંટણી સભામાં સાંસદ પૂનમબેન માડમ, મુળુભાઇ બેરા, પબુભા માણેક, મેરામણ ગોરિયા, રામભાઇ ગઢવી તથા શૈલેષ કણઝારિયા સહીત હજારોની સંખ્યામાં લોકો અમિત શાહને સાંભળવા ઉમટી પડ્યા હતા, અમિત શાહે સભામાં ભાષણ કરતાં પહેલાં ખંભાળિયાના રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, માં આશાપુરા તથા મહાપ્રભુજીને પ્રણામ કર્યા હતાં અને સૌને શિવ શિવ કહ્યું હતું. તેઓએ પોતાના ભાષણમાં બેટ દ્વારકાનો સફાયો કરવામાં આવ્યો તેનો ઉલ્લેખ કરી ભૂપેન્દ્રભાઇ તથા હર્ષ સંઘવીને અભિનંદન આપ્યા હતા.