Mysamachar.in-જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમા ગત ચોમાસાના ભારે વરસાદના કારણે અમુક નદીઓ અને ડેમોમા પાણી છે, અને કુદરતી સંપતિ અને પાણીના જીવો પણ છે જેની બેફામ ચોરી થઇ રહ્યાનુ જાણવા મળે છે, તેમજ દિવસે ન થાય ત્યા રાત્રે એવુ થાય છે જેની સિંચાઇ, ફીશરીઝ, પોલીસ, ખનીજ, પંચાયત, પાણીપુરવઠા વગેરે લગત અનેક વિભાગોને ખબર હોવા છતા પગલા લેવાતા નથી, એક તરફ જોડિયા અને ધ્રોલ તાલુકા વચ્ચે આવેલ ઉંડ-2 ડેમમાં આ વર્ષે વિપુલ પ્રમાણમાં પાણીની આવક થયેલ હોવાથી ડેમ છલોછલ ભરાયેલ હોવાથી રેતી ચોરી કરતા ખનીજ માફિયા તત્વોએ રેતી ચોરીનો તોડ શોધીને પાણી અંદર બાર્જ ઉતારીને તેના મારફત રેતીનો સંગ્રહ કરીને કાંઠે સટ્ટા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આ બાર્જ રોજ હજારો ટન રેતીચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ ઉંડ-2 ડેમમાં કરોડો રૂપિયાની કિંમતનો રેતીની ખનીજનો જથ્થો આવેલ હોવાથી આ ડેમમાં પાણીમાંથી રેતી ખેંચી લેવા માટે ખાસ બાર્જ જેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાર્જ રોજ ડેમમાંથી 2000થી 2500 ટનથી વધારે રેતીનો સંગ્રહ કરીને ડેમના કાંઠે તેમજ નદી કાંઠે રેતીનો ખૂલ્લેઆમ સટ્ટો કરીને રોજે-રોજ 25થી 30 ડમ્પરો દોડાવીને સરકારને 1 લાખ ઉપરનો ધૂંબો મારવામાં આવી રહ્યો હોવાનો સ્ફોટક વિગતો બહાર આવી છે.
વધુમાં મળતી વિગત મુજબ ખનીજ માફિયા તત્વો આ ડેમ સાઈડ પર તેમજ લખતર, મજોઠ અને નથુવડલા સુધી આ બાર્જનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને કોઈપણ જાતની મંજુરી વગર ગેરકાયદેસર ડેમ તેમજ નદીમાં બાર્જ ઉતારીને મોટાપાયે રેતી ચોરીનું રેકેટ ચલાવવામાં આવતું હોવા છતા જામનગર ખાણ ખનીજ તેમજ સ્થાનીક પોલીસ વગેરેથી જાણ બહાર હોય તેવું શકય નથી અને તંત્રના છૂપા આશીર્વાદથી ધ્રોલ-જોડિયામાં નદીઓમાં પાણી હોવા છતા ખુલ્લેઆમ રેતી ચોરીના આ રેકેટ સામે જિલ્લા વહીવટ તંત્ર વગેરેને વારંવાર સ્થાનિક ગ્રામજનો આગેવાનો ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવામાં આવતા સમગ્ર તંત્ર ફરેલું હોય તેવા આક્ષેપો સાથે ટીકા થઈ રહી છે.તમામ કુદરતી સંપદાની ચોરી તંત્રના આંખમીચામણા થઇ રહ્યાનુ જાણકારો કહે છે . ત્યારે આ તમામ બાબતો તટસ્થ તપાસ માંગી લેતી પણ છે.