Mysamachar.in-જામનગર:
જામનગર શહેર વિસ્તારમાં મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા સમયાંતરે ચેકિંગ કરી જરૂરી નમુના લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા પણ આવી કાર્યવાહી લટકામાં કરવામાં આવી રહી હોય થોડા સમય અગાઉ પણ કોંગ્રેસ કોર્પોરેટર અસ્લમ ખીલજી દ્વારા પુરાવાઓ સાથે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી હતી કે સ્ટેટ અને સ્થાનિક બન્ને કામગીરી કરે તો વેપારીઓને હેરાની થાય છે,એવામાં આજે વધુ એક વખત શહેરના સેન્ટ્રલ બેંક સહિતના વિસ્તારોમાં જાણીતા વેપારીઓને ત્યા સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ સેફટી ઓફિસરોની ટીમ સેમ્પલ લેવા માટે પહોચી હતી.
આ અંગે સાથે પહોચેલા એસ.પી.સોલંકી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું કે અમે આખા ગુજરાત માટે નોટીફાઈડ થયેલ છીએ, અને આખા ગુજરાતમાં ગમે ત્યાં કાર્યવાહી કરી શકીએ છે. અને જેએમસીના ડેઝીગ્નેટેડ ઓફીસર અમારા બન્નેના એક છે માટે અમે જેએમસી વિસ્તાર અને ગમે ત્યાં થી નમુના લઇ શકીએ તેવો દાવો કર્યો હતો, હવે આ મામલે સત્ય શું કારણ કે એક જ સરખા બે વિભાગોની કાર્યવાહીથી વેપારીઓને ડબલ પરેશાની ભોગવવી પડી રહી હોવાનું બુમરાળ ઉઠી છે.અને જો નિયમ સ્પષ્ટ હોય તો જયારે કોર્પોરેટરે આક્ષેપ કર્યો ત્યારે પણ ફૂડ વિભાગે ખુલાસો કરી અને સાચી માહિતી જાહેર કરવી જોઈતી હતી પણ ક્યારેક ક્યારેક જાગતુ ફૂડ ડીપાર્ટમેન્ટે આવું કાઈ જાહેર કર્યું હોય તેવું સામે આવ્યું નથી