Mysamachar.in-જામનગર
રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર થયેલ ચુંટણી પ્રોગ્રામ મુજબ રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે, આજે ઉમેદવારીપત્રો ભરાઈ ચુક્યા બાદ 8 તારીખે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને ઉમેદવારીપત્રો પરત ખેચવાની તારીખ 9 ફેબ્રુઆરી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મનપા માટે ભાજપના ગઈકાલે ગણ્યાગાંઠ્યા જ ઉમેદવારીપત્રો ભરાયા હતા, જયારે મોટાભાગના ઉમેદવારીપત્રો ભરવાના બાકી છે, તો કોંગ્રેસમાં પણ વિવાદ ના સર્જાય તે માટે નામોની સૂચી જાહેર કરવાને બદલે આજે સીધા જ પક્ષપ્રમુખ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે જે બાદ જે તે ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર ભરવા માટે નિયુક્ત થયેલા ચુંટણીઅધિકારી પાસે જશે.
આજે જયારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે વોર્ડ નંબર એક ના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોચ્યા ત્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહી અને ઉમેદવારોનો જુસ્સો વધાર્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં. 1 માં 21 વર્ષીય મનીષાબેન બાબરીયાની ભાજપે પસંદગી કરી ચુંટણી મેદાને ઉતાર્યા છે, તો મનીષાબેન બાબરીયા, સાથે હુસેનાબેન સંઘાર ઉમરભાઈ ચમડિયા, ફિરોજપતાણીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, તો વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવારો જાગૃતિબેન જાદવ, કરણભાઈ ચૌહાણ, સેનાઝબેન ફિરોઝ ગજીયા અને પીયુષ પરમારે ઉમેદવારી પત્ર ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.