Mysamachar.in-જામનગર:
જામનગરમાં પાર્કિંગની સમસ્યા વર્ષોથી કાળઝાળ છે. આ સમસ્યા નગરજનોને પરેશાન કરવાનાં મુદ્દે સારાં પ્રમાણમાં કુખ્યાત પણ છે. સાથે-સાથે ચાલતું વાહન ટોઈંગ ઘણાં નગરજનો માટે એક પ્રકારની વગર ગુનાની સજા છે.! આ માટે કોઈ નવો, ઈનોવેટિવ વિચાર કોર્પોરેશન ધારે તો કરી શકે. આમેય પોલીસ કે મહાપાલિકાએ લોકોને આ સમસ્યાથી છુટકારો અપાવવા – અત્યાર સુધીમાં કાંઈ કર્યું નથી ! એવી લાગણી નગરજનો અવારનવાર વ્યક્ત કરતાં રહે છે- બળાપા અથવા નારાજગી અથવા રોષના રૂપમાં.
જામનગર શહેરમાં દાયકાઓથી બાંધકામો એ રીતે થાય છે જે પાર્કિંગ સમસ્યાને વધુ વકરાવે ! આગેવાનો અને તંત્ર ચિંતિત ન હોય, તો જ આવું થાય ને ?! શહેરમાં કેટલાંક દાયકાઓ જૂનાં, પરંપરાગત પાર્કિંગ હતાં તે પણ બ્યૂટીફિકેશનનાં નામે ખુદ કોર્પોરેશને બંધ કરી દીધાં ! ત્યાં ચણતર કરી નાંખ્યું ! શહેર રૂપાળું દેખાવું જોઈએ !!
ખાસ કરીને જૂનું જામનગર તથા જૂનાં અને નવાં જામનગર વચ્ચેનું વચલુ જામનગર આ સમસ્યાથી વધુ પીડાય છે. વસતિની ગીચતા, બાંધકામોની ગીચતા અને તેથી વાહનોની સંખ્યા આ વિસ્તારોમાં વધુ અને માર્ગો સાંકડા તથા પાર્કિંગની જગ્યાઓ ઓછી ! પરિણામે રોજની રામાયણ ! એમાયે વળી વગર વાંકે વાહન ટોઈંગ એજન્સી નગરજનોના વાહન ઉપાડી જાય ! આ બધું ક્યાં સુધી ચલાવવાનું છે ??!! જામનગરમાં ચોક્કસ સ્થળોએ અભ્યાસ કરી, મેગા સિટી જેવાં મલ્ટીલેવલ (બહુમાળી) ખાનગી તથા કોર્પોરેશન સંચાલિત પાર્કિંગ ન બનાવી શકાય ?! આ દિશામાં અધિકારીઓ કે પદાધિકારીઓ શા માટે નથી વિચારતાં ?! જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે વિચારો. નગરજનોની ભલાઈ માટે.
-સુપરમાર્કેટ નજીકનાં આ રાજમાર્ગનો માલિક કોણ ? નગરજનો પરેશાન !
જામનગર રિટેલ વેપારી મંડળનાં પ્રમુખ શશિકાંત મશરૂએ કમિશ્નરને એક પત્ર પાઠવ્યો છે જેમાં જણાવાયું છે કે સુપર માર્કેટ ટાઉનહોલ વચ્ચેના ધમધમતાં માર્ગ પર ફળોની લારીઓવાળા શા માટે ઉભે છે ?! આ દબાણ શા માટે ?! અહીં ફળો ખરીદવા ઉભતા નગરજનોના વાહન ટોઈંગ એજન્સી ઉપાડી જાય છે ! આ ફળોવાળા પોતાનો કેટલોક સામાન ટુ વ્હીલર પાર્કિંગનાં સ્થળ પર ખડકી દે છે ! આ દાદાગીરી અંગે કોર્પોરેશન અજાણ છે ?! આ રાજમાર્ગ ફળોનાં વેપારીઓએ ખરીદી લીધો હોય, એવી દર્દનાક સ્થિતિ છે! જેનો ઉપાય કોર્પોરેશન સત્તાવાળાઓએ તાકીદે વિચારવો જોઈએ, નગરજનોના હિત માટે