Mysamachar.in-જામનગર
જામનગરમા ગેરકાયદેસર બાંધકામ એ કંઇ નવી બાબત નથી અને તે માટે થાબણભાણા થાય તેના ઉપર ઘણી રમતો રમાય રક્ષણ મળે તેનાથી રક્ષણ આપનારને જુદા-જુદા લાભ પણ મળે આવુ તો ઘણુ ચાલે પરંતુ એક એવી ઘટના બની છે કે જેના કારણે કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે કેમકે ગેર કાયદેસર બાંધકામ મામલે કમીશનર સામે ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ એ.સી.બી.મા ફરિયાદ નોંધવાની તાકીદ અપાઇ છે સાથે ટીપીઓ તો આંટીમાં છે જ કેમકે વર્ષોથી નગરમાં બીજા અનેક દાખલાઓની જેમ એક મોટુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાતુ જ નથી આ અંગે પ્રાપ્ત વિગતો જોઇએ તો જામનગરના વાણિયાવાડ વિસ્તારમાં તાક ફળી સામે ચાલતા ગેરકાયદે બાંધકામ અંગે પ્રકૃતિબેન જતીનભાઇ શાહ એ કોર્પોરેશન ના કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફીસરને લીગલ નોટીસ પાઠવી તેમની સામે પ્રિવેન્સન ઓફ કરપ્સન એકટ હેઠળ ફરિયાદ કરવાની ચેતવણી આપી છે.
કેમકે તેમની બાજુમાં કરવામાં આવતાં ગેરકાયદે બાંધકામ અંગે 2015માં જામ્યુકોની ટાઉન પ્લાનિંગ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને મહાપાલિકાએ આ બાંધકામને બીન અધિકૃત ઠરાવી બાંધકામ કરી રહેલા આશિષ બિપીનભાઇ પારેખને નોટીસ આપી બાંધકામ દુર કરવા જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ કોઇ કાર્યવાહી નહી કરતાં મુળમાલિકે આ જગ્યા ઇમરાન રીઝવી નામની વ્યકિતને વેચી દીધું હતું. ત્યારબાદ પણ ગેરકાયદે બાંધકામની કાર્યવાહી ચાલુ રહેતા અદાલતમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં અહીં ફરીથી બાંધકામની પ્રવૃતિ શરૂ થતાં પ્રકૃતિબેન દ્વારા જામ્યુકોના ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ મહાપાલિકાના તંત્ર દ્વારા બાંધકામ અટકાવવાની કોઇ જ કાર્યવાહી કરવામાં નહી આવતા આખરે પ્રકૃતિબેને પોતાના વકીલ વી.એચ.કનારા મારફત મ્યુનિ.કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફીસરને લીગલ નોટીસ પાઠવવામાં આવી છે.
જેમાં કોઇપણ જાતની મંજૂરી માટેની ધોરણસરની ફી નહી ભરીને મહાપાલિકાની આર્થિક નુકશાન પહોંચાડનાર આસામી સામે કાર્યવાહી નહી કરવા અંગે પ્રિવેન્સન ઓફ કરપ્સન એકટ હેઠળ ફરિયાદ નોંધવાની ચેતવણી આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ બાંધકામ ગેરકાયદેસર હોઇ તોડી પાડવા માટેની તમામ પ્રક્રિયા કરી આખરી હુકમ બાદ કોના રક્ષણ હેઠળ આ તોડી પડાતુ નથી તે શંકાસ્પદ સવાલ સાથે અધિકારીઓ સામે પગલાની તાકીદ થી ખળભળાટ મચ્યો છે, દરમ્યાન આ પ્રકરણ ઘાટુ થયુ હોઇ બીજા આવા પ્રકરણો મામલે લગત સંડોવાયેલાઓને ભીસમા લેવા માટે આવી બીજી ફાઇલો જે કોઇ કારણોસર ધુળ ખાય છે તેમા પણ આ મામલે ખળભળાટ થાય તે પ્રકારની કાગળ પરની લડત કરવા અન્ય અમુક સુત્રોનો ઉત્સાહ જાગ્યો હોવાની વિગત મળી રહી છે.