Mysamachar.in-ગાંધીનગર
હજુ ગઈકાલે જ ગુજરાત સરકારે રાજ્યની નવી ટુરિઝમ પોલિસી જાહેર કરી છે, ત્યાં જ દારૂબંધીનો મુદ્દો ઉભો થયો છે. ગુજરાત સરકાર જે લક્ઝુરીયસ ટુરિસ્ટની વાત કરે છે, તે લક્ઝુરીયસ ટુરિસ્ટની દારૂની ડિમાન્ડ પર હવે ખૂલીને વાતો આવવા લાગી છે. .ટુરિઝમ પોલિસી ડિકલેર થયા બાદ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે, ગુજરાતમાં દારૂબંધી હોય તેથી ટુરિસ્ટોને સારા પ્રમાણમાં આકર્ષી શકાતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા માધ્યમથી ખૂલીને આ મુદ્દે ચર્ચાએ જોર પકડયું છે. આવામાં વડોદરાના મહારાણી બાદ દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું દારૂબંધી પરનું આ વખતે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ‘ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યાં દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય! હું ગુજરાતીઓને કહેવા માગું છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું હવે! હવે તેનો પુનવિચાર કરો અને દારૂબંધી હટાવો. કૃત્રિમ દારૂબંધી ભ્રષ્ટાચાર અને ગુંડાઓનો અડિંગો બની ગયો છે. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. તો આ ખોટી નીતિ છે. દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિએ અમલ કરવો જોઈએ. દિલ્હી, બેંગલોર, કલકત્તા ક્યાંય દારૂબંધી નથી.. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે.. કેમિકલ પીને મરી જાય છે, અને એ 30 વર્ષથી નીચેની ઉંમરની લાખો બહેનો વિધવા બની જાય છે..
એમના પતિઓ આવું ખોટું પીને મરી જાય છે.. આવી નીતિ ઘાતક નીતિ હોય છે, ખોટી નીતિ હોય છે..આ નીતિ બદલીને એવી નીતિ રાખો કે જેથી કરીનેદમણ ન જવું પડે, સેલવાસ ન જવું પડે, મુંબઈ ન જવું પડે, આબુ ન જવું પડે કે ઉદયપુર ન જવું પડે..’ દરેક હવે માથું ખંજવાળે એવો પ્રશ્ન આ થયો છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે અને શું?