Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ તામિલનાડુ રાજ્યના રહીશ એવા એક વૃદ્ધ દંપતીના રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, તેમાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા પોણા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાની વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા કુમારવેલ મુદલેયર તથા તેમના ધર્મપત્ની દિવાળીની રજા હોવાથી ગત તારીખ 23 ઓક્ટોબરના રોજ તેમના વતન દિવાળી કરવા માટે ગયા હતા. આ દંપતીના 28 વર્ષિય પુત્ર હરિરામ કુમારવેલ તથા તેમના પત્ની ગાંધીનગર ખાતે રહેતા હોવાનું અને ફૂડ પ્રોસેસિંગના વેપાર સાથે સંકળાયેલા હોવાનું વધુમાં જાહેર થયું છે.
ખંભાળિયાના પરપ્રાંતીય દંપતિ તેમના વતન ગયા હોય, પાછળથી ગત તારીખ 31 ના સવારે સાત વાગ્યાથી ગઈકાલે મંગળવારે સવારના નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમના રહેણાંક મકાનમાં તસ્કરો ખાબક્યા હતા. આ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ દિવાલમાં રહેલા પતરાનો કબાટ ખોલી અને તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા 60 હજાર રોકડા તથા રૂપિયા બે લાખ દસ હજારની કિંમતની સોનાની બંગડી, સોનાનું બ્રેસલેટ, એરીંગ્સ વિગેરે મળી સાત તોલા સોનાના દાગીના ઉસેડીને લઈ ગયા હતા.આમ, બંધ રહેલા મકાનમાંથી કુલ રૂપિયા બે લાખ સીતેર હજારના મુદ્દામાલની ચોરી થવા સબબ ગાંધીનગર રાયશન ખાતે રહેતા હરિરામ કુમારવેલની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તસ્કરોને ઝડપી લેવા માટે ડોગ સ્કવોડ તથા એફએસએલની પણ મદદ લેવાઈ છે.