Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ બાદ હવે સરકાર સફાળી જાગી છે, અને થોડા દિવસો પૂર્વે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જાહેરાત સમયે કહ્યું હતું કે રાજ્યકક્ષાએ ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરાશે. તેમજ ફાયર સર્વિસને વધુ સુદ્ધઢ બનાવવા માટે ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોની અમલવારી આગામી 26મી જાન્યુઆરીથી રાજ્યમાં શરુ થશે,
આ કામગીરી અંગેની મહત્વની તૈયારીઓ હાલ ગાંધીનગર ખાતે સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ચાલી રહી છે, જે બાદ સીએમ સમક્ષ તેને મુકવામાં આવશે અને જે બાદ સમગ્ર રાજયમાં સીસ્ટમ લાગુ થશે આવા અતિ મહત્વના કામ માટે સમગ્ર રાજ્યમાંથી એકમાત્ર જામનગર મનપાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે…
રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા ફાયર સેફ્ટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોર્ટલ વિકસાવવા જી રહ્યું છે, અને આ જાહેરાત ખુદ મુખ્યમંત્રીએ કરી દીધી છે,
વધુમાં રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારર્કીદી ઘડીને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યૂઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરવામાં આવશે.
ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ-3 વર્ષ માટે માન્ય રહેશે. રિન્યૂઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે. આમ આ તમામ મહત્વની ખુબ જ મહત્વની કહી શકાય તેવી કામગીરીની તૈયારીઓ જયારે ગાંધીનગર ખાતે ચાલી રહી છે ત્યારે તેના માટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાંથી એકમાત્ર જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈને ગાંધીનગર ખાતે એક માસ સુધી મુકવામાં આવ્યા છે, જે જામનગર માટે ગૌરવપૂર્ણ બાબત છે.