Mysamachar.in-જામનગર
બે દિવસ પૂર્વે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોટીરાફુદળ ગામે એક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી, યુવકના મોઢા પર કુહાડી મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા જામનગરથી એલસીબી સહિતનો કાફલો પણ સ્થાનિક પોલીસ સાથે તપાસમાં જોડાયો હતો અને તપાસના અંતે આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, મૃતકને પરપ્રાંતીય મજુરની પત્ની સાથે આડા સબંધોમાં હત્યા નીપજાવવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે,
મૂળ લાલપુર તાલુકાના મોટીરાફુદળ ગામનો અને હાલ જામનગરના ગોકુલનગરમાં વસવાટ કરતા જયેશ કરમશીભાઈ મઘોડીયા નામના યુવાનની ગુરૂવારે સવારે ગજણા ગામની સીમમાંથી મોઢામાં બોથડ પદાર્થ અને કોશના ઘા મારીને મોઢું છુંદી નાંખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. મૃતકનો મોબાઈલ ફોન અને પાકીટ ગાયબ હોવાથી લાલપુર પોલીસે હત્યા, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ અંગે માહિતી આપતા લાલપુર પી.એસ.આઈ. બી.એસ.વાળાએ માહિતી આપતા કહ્યું કે આ ગુન્હામાં ઊંડાણપૂર્વકની તપાસ અને આસપાસના લોકોના નિવેદનો અને જરૂરી પૂછપરછ બાદ સામે આવ્યું છે કે ગજણા વાડી વિસ્તારમાં કામ કરતી પરપ્રાંતીય શ્રમિક પરિવારની એક મહિલા સાથે મૃતકને અનૈતિક સબંધો હોવાની હોવાની જાણ તેણીના પતિને થઇ જતા તેના પતિએ અન્ય એક શખ્સ સાથે મળીને જયેશ જયારે ત્યાં આવ્યો ત્યારે બાવળની જાળીઓ નજીક કુહાડી જેવા હથીયારના ઘા મારી તેને પતાવી દીધા બાદ પોતાના વતન જવા રવાના થયાની માહિતી પરથી પોલીસે બન્ને શખ્સોને દબોચી લીધા છે અને આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.