Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબીશન) એક્ટ-2020 પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગેરકાયદેસર સરકારી જમીન પચાવી પાડવા અથવા તો કોઈ વ્યક્તિગત માલિકીની જમીન ગેરકાયદેસર પચાવી પાડવાની વૃત્તિને કાયદાકીય રીતે અટકાવવામાં આવશે. આ અંગે જામનગર કલેકટર દ્વારા જમીન દબાણ કરનાર લોકોને દબાણ હટાવવાની અને જે કોઈ ત્રાહિત વ્યક્તિ હોય તેને પણ અરજી કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. ત્યારે દરેડના મસીતીયા મેઈન રોડ વિસ્તારના રોડ પર સરવે નં.131 અને132 માં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલા છે, તેને આ હેઠળ આવરીને કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેકટર દ્વારા તે વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સુઓમોટો અંતર્ગત બે અરજીઓ તંત્રને મળેલ, જેમાં દરેડ વિસ્તારના 131 અને 132 સર્વે નંબર જે જુના સર્વે નંબર 26/1 જે સરકારી જમીન હતી અને હાલમાં ખૂબ મોટા પાયે તેના પર અજાણ્યા ઇસમો દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરીને ભાડુઆતો રાખવામાં આવે છે તે જમીન પર નિરીક્ષણ કરવામાં આવ્યું. આ માટે સરકારી આધારો અનુસાર સંપૂર્ણ ખરાઈ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા તે જમીન પર રહેતા લોકોને ત્યાંથી હટી જવા માટે જણાવવામાં આવ્યા બાદ આખરે આ મામલે તંત્રએ વિધિવત રીતે ગુન્હો દાખલ કર્યો છે, આ અંગે ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈએ આપેલ માહિતી પ્રમાણે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં સરકાર તરફે રેવન્યુ વિભાગના અધિકારીએ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો છે, જેમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ 64 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ગુન્હો નોંધવામાં આવ્યો છે, જયારે વધુ કેટલાક નામો તપાસ દરમિયાન ખુલશે તેમ જાણવા મળે છે, આમ આ કાયદો અમલી બન્યા બાદ જામનગરમાં પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.