Mysamachar.in-જામનગર
જામનગરમાં આવેલ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી.જી હોસ્પીટલમાં ગત બપોરે લાગેલી આગનું પોસ્ટમોર્ટમ કરવાનો પ્રયાસ “માયસમાચાર” દ્વારા કરવામાં આવ્યો છે, અને કઈ રીતે આગ લાગી શું હોસ્પિટલ તંત્ર સહીત લગત તંત્ર આ મામલે અંધારામાં હતું લેવા જોઈતા પગલા લીધા હતા કે જાણ હોવા છતાં ના લીધા તે તમામ બાબતો પરથી પરદો ઊંચકવા “માયસમાચાર”ની ટીમે જી.જી હોસ્પિટલ અને ફાયર વિભાગના કેટલાક સુત્રો પાસેથી નામ ના આપવાની શરતે કેટલીક માહિતી એકત્ર કરી તેમાં ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે. અને સૌથી મોટી બાબતએ સામે આવી છે કે ફાયર વિભાગે વખતોવખત સહીત અઠવાડિયા પૂર્વે જ હોસ્પિટલ સહિતના તંત્રને આગ અકસ્માતની સંભાવના અંગે જરૂરી ફેરફારો કરવા, ફાયર સેફટીની સીસ્ટમ યોગ્ય કરવા તાકીદ કરી પણ હોસ્પિટલ સહિતના લગત વિભાગોએ તેને ગંભીરતાથી ના લીધી તેનું પરિણામ ગઈકાલે જોવા મળ્યું અને 9 દર્દીઓજે ગંભીર હાલતમાં ICCU વોર્ડમાં હતા તેને માંડ બચાવી લેવાયા નહિતર જામનગરને માથે ગઈકાલે કાળી ટીલી લાગી ગઈ હોત….
ગઈકાલે જામનગરની જી.જી હોસ્પીટલના જુના બિલ્ડીંગમાં આવેલ ICCUમાં અચાનક આગ ભભૂકી ઉઠી આગ એટલી વિકરાળ હતી કે જો હોસ્પીટલના નર્સિંગ સ્ટાફ અને ફાયર સ્ટાફે યોગ્ય જેહમત ના ઉઠાવી હોત તો મોટી દુર્ઘટના ઘટી જાત..આ આગની જાણવા મળતી વિગતો મુજબ છેક સરકારમાં પણ ગંભીર નોંધ લેવાઈ છે, ગઈકાલે લાગેલી આગનું પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળે છે કે આગ લાગવા પાછળ ફાયર વિભાગે કરેલ તાકીદેને ગભીરતાથી જ નથી લેવામાં આવી.. જે રીતે સુત્રો જણાવે છે તે મુજબ છેલ્લા કેટલાય સમયથી ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ તંત્રને વારંવાર જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી, જ્યારે સરકારી નવી બિલ્ડીંગ કોવીડ હોસ્પિટલનું ફાયર ઓડીટ થયું ત્યારે પણ લેખિતમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે, જુના વાયરીંગ અંગે વાયરીંગ ઇન્સ્પેકટર અને પીજીવીસીએલ વિભાગને પણ સૂચનાઓ આપી આ અંગે હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા માટે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવામાં સૂચનાઓ પણ અપાઈ હતી,
આ સિવાય પણ વધુમાં સુત્રો કહે છે કે તેમ ગત સપ્તાહે પણ ફાયર સેફટી સહીતની બાબતોની ચકાસણી કરવા માટે હોસ્પિટલ તંત્રને ફાયર વિભાગે એલર્ટ પણ કર્યું હતું, અને તેમાં પણ ટાંકવામાં આવ્યું હતું કે કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો જે તે તંત્રની જવાબદારી થશે પણ લાલીયાવાડી જેવું તંત્ર ચલાવતા હોસ્પિટલ તંત્ર કે પીજીવીસીએલએ આ મામલે ગંભીરતા ના લીધી અને પરિણામે આગની ઘટના ઘટી હોય તેમ લાગે છે.
-ખરેખર જેને ખબર હતી અને પગલા ના લીધા તેની સામે કાર્યવાહી કરવી જોઈએ
આધારભૂત સુત્રોએ આપેલ માહિતી સાચી હોય અને લગત અધિકારી અને વિભાગે જો ફાયર વિભાગની ચેતવણીને ગંભીરતાથી ના લીધી હોય તેવા તમામ સામે ખરેખર કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકે.