Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને જોતા લોકડાઉન અને બાદમાં અનલોકના જુદા-જુદા તબક્કામાથી લોકો પસાર થઇ રહ્યા છે, ત્યારે લગ્ન સમારોહ જેને આવા કપરાકાળમાં આયોજિત કરવા છે, તેવા લોકો માટે 100ની સંખ્યા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. જો કે તેના માટે કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
લગ્ન સમારંભોમાં 200થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇ પણ હૉલ કે લગ્નસ્થળની 50ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. કોરોનાના કારણે બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. ધારો કે તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ.
રાજ્યની રૂપાણી સરકારે લગ્ન પ્રસંગમાં હાજર રહેનારની સંખ્યા બમણી કરી દીધી છે. જે અગાઉ માત્ર 100 હતી. હવે 200 લોકો લગ્નપ્રસંગમાં આવી શકે તેવી છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. જો કે આ છૂટછાટો આવતીકાલે 3જી નવેમ્બરથી લાગૂ થશે. બંધ હોલના કિસ્સા આવા પ્રસંગ માટે હોલની કેપેસિટી 50ટકા સુધી છૂટ અપાશે. જો કે આ વચ્ચે પણ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું પડશે.