Mysamachar.in-જામનગર
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના 4200ના ગ્રેડ-પે ના મુદ્દે સરકાર દ્વારા કોઇ નિર્ણય નહિ કરાતા આવતીકાલથી જ સોશ્યલ મિડિયાના માધ્યમથી આંદોલનનું રણશીંગુ ફુંકશે તેમ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગરના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયાએ જણાવ્યું છે. ગુજરાત સરકાર સમક્ષ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અનેક શિક્ષકોને ઘણા સમયથી અન્યાય થઇ રહ્યો છે. ખાસ કરીને શિક્ષકોને 4200 ગ્રેડ-પે નો પ્રશ્ન વણ ઉકેલ હોય સરકાર દ્વારા પણ શિક્ષકોને અન્યાય કરવામાં આવે છે. તે પ્રશ્નને લઇને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા આવતીકાલે સાંજે 4-30 વાગ્યે લાલબંગલા ખાતેથી સરકાર સામે સોશ્યલ મિડિયાના માધ્યમથી આંદોલનનું રણશીંગુ ફુંકશે અને તા.6 ઓગસ્ટના રોજ દરેક શાળાઓની બહાર શિક્ષકોનો તમામ સ્ટાફ સેલ્ફી વીથ સ્લોગન છેડશે. તેમજ તા.7 ઓગસ્ટના રોજ લાલબંગલાથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી યોજી કમિશ્નરને આવેદનપત્ર આપશે.