Mysamachar.in-જામનગર:
રાજ્યનો GST વિભાગ તાજેતરની કાર્યવાહીના અનુસંધાને કુલ 41 કંપનીઓનાં GST નંબર રદ્ કરી નાંખશે. આધારભૂત સૂત્રો જણાવે છે કે, આ કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમાં જામનગરની કેટલીક પેઢીઓનો પણ સમાવેશ થવાની શક્યતાઓ છે. થોડાં દિવસો પહેલાં જામનગર સહિત રાજ્યભરમાં 205 સ્થળોએ SGST તથા ATSનાં માર્ગદર્શન હેઠળ વિવિધ શહેરોની પોલીસે સંખ્યાબંધ વેપારીઓને ઉપાડી લીધાં હતાં અને બાદમાં GST અધિકારીઓ દ્વારા આ ઉદ્યોગપતિઓ તથા કારખાનેદારોની પૂછપરછ થયેલી, નિવેદનો નોંધાયા હતાં અને બાદમાં તંત્રએ રાબેતા મુજબ આ તમામ ધંધાર્થીઓને મુક્ત પણ કરી દીધાં હતાં, કેમ કે જામનગર સહિત રાજ્યભરમાં આ પ્રકારની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ પણ થયો હતો. આ પ્રકારની કાર્યવાહી કરનારાઓ વિરુદ્ધ કાયદાકીય પગલાંની માંગ પણ ધંધાર્થીઓએ ઉઠાવી છે ત્યારે બીજી તરફ જાણવા મળે છે કે, GST તંત્રએ આ કામગીરીનાં અનુસંધાને કુલ 41 કંપનીઓનાં GST નંબરો રદ્ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અધિકારીઓ કહે છે, આ કંપનીઓ બોગસ છે. માત્ર કાગળ પર જ ચાલે છે.
GST અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, રૂ. 650 કરોડનાં ખોટાં બિલો બનાવી કુલ 115 કંપનીઓએ કુલ રૂ. 100 કરોડની ટેક્સ ક્રેડિટ મેળવવા આ આખું કુંડાળું રચ્યું હતું એવું જોવા મળે છે. જે કંપનીઓ આ કુંડાળા સાથે સંકળાયેલી છે તેમાં ભંગારની કંપનીઓ, મેટલની કંપનીઓ, મેટલરોડની કંપનીઓ તથા કેમિકલની કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓની ઉત્પાદન ક્ષમતા ચકાસવામાં આવી છે. ખરીદ વેચાણ તપાસવામાં આવ્યા છે. બીજી બાજુ ATS એ અભ્યાસ કરે છે કે, આ રીતે મેળવવામાં આવેલાં નાણાંનો શું ઉપયોગ થયો છે ?! જો કે આ અંગે હજુ સુધી કોઈ જ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેતે સમયે ઘણી અફવાઓ પણ ઉડી હતી ! આ સમગ્ર કાર્યવાહી જામનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિતના શહેરોમાં કરવામાં આવી હતી.