Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જાય છે, તાજેતરમાં જ કચ્છમાં અને ત્યાર બાદ પાટણમાં સત્યના પારખા કરવા માટે ધગધગતા તેલમાં લોકોના હાથ નાખાવાનો મામલો હજુ શમ્યો નથી ત્યાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જેમાં આંધળી અંધશ્રધ્ધાને કારણે એક મહિલાને લોકોએ ધગધગતી સાંકળના એવા તો ડામ દીધા કે તે મહિલાનું મોત નીપજતા આ મામલો ભારે ચર્ચાસ્પદ બનતા 5 ઈસમો સામે ખૂનનો ગુન્હો નોંધાયો છે.
આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં પણ અંધશ્રદ્ધા કેટલી જીવલેણ બની રહે છે, તેનો જીવંત પુરાવો દેવભૂમિ દ્વારકા ખાતે બન્યો છે. દ્વારકા નજીક આવેલા ઓખા મઢી ખાતે આરંભડાના એક મહિલા ધુણવા લાગતા તેણીને કથિત ભુવા સહિતના શખ્સોએ લોખંડની ગરમ સાંકળના ઘા ફટકારી, હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા વાલાભાઈ માકાભાઈ સોલંકી નામના યુવાનની 25 વર્ષીય પત્ની રમીલાબેન વાલાભાઈ સોલંકી તેમના પતિ સાથે દ્વારકા હાઈ-વે રોડ ઉપર ઓખા મઢી વિસ્તારમાં એક દરગાહ સામે મેલડી માતાના મંદિર ખાતે નવરાત્રીના તહેવારોની ઉજવણી કરવા ગઈ હતી.
આ દરમિયાન આજરોજ રમીલાબેન ધુણવા લાગ્યા હતા તેને જોઈ અને આ સ્થળે રહેલા મૃતકના પરિવારજનો એવા રમેશ લખમણ સોલંકી, અર્જુન ઉર્ફે ભૂરી ભરત સોલંકી, વેરસી માકા સોલંકી, મનુ વિરા સોલંકી તેમજ ભાવેશ માકા સોલંકી નામના પાંચ શખ્સોએ કહેલ કે, “આ મસાણની મેલડી છે, એને મારો. નહીંતર આપણને બધાને મારી નાંખશે”- તેમ કહી, અંધશ્રદ્ધામાં આવી અને લોખંડની સાંકળ ચૂલામાં તપાવી, આ ધગધગતી સાંકળ વારાફરતી રમીલાબેનના શરીર ઉપર ઘા કરવા લાગ્યા હતા. આ ઉપરાંત સળગતા લાકડાથી તેણીને ડામ આપતા આખરે આ મહિલાનું ગંભીર હાલતમાં કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ બનતા ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી મૃતક મહિલાના સંબંધી એવા પાંચ શખ્સો સામે આઇ.પી.સી. કલમ 302, 34 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવે ભારે ચકચાર જગાવી છે.