Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં આવેલ અને જ્યાં દરિયાઈ માર્ગે જઈ શકાય છે તે જીવસૃષ્ટિ માટે સ્વર્ગ મનાતું પિરોટન ટાપુ પર રિસોર્ટ જેવી સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે, અને તેને લાગત ટેન્ડર બહાર પડતા કેટલાક પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તો જે ટાપુ પર સરકાર સુવિધાઓ ઉભી કરવા માંગે છે તે ટાપુ પર તો છેલ્લા 15 વર્ષથી જવાની મનાઈ છે ત્યાં આવા ડેવલપમેન્ટ થવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી જવાની શક્યતાઓ પર્યાવરણપ્રેમીઓ વ્યક્ત કરે છે,
તો. ટાપુ પર બાંધકામના પગલે વર્ષોથી ત્યાં રહેલી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેરના જંગલોનો સોથ વળી જશે તે નક્કી છે.પીરોટન ટાપુ વિષે એવું પણ કહેવાય છે કે દરિયાના ચોતરફે ઘેરાયેલું અત્યંત રમણ્ય ટાપુ છે જ્યાં જામનગરના બેડી પોર્ટથી પિરોટન ટાપુ પર જવા એક કલાક જેટલો સમય વહાણમાં લાગે છે. અને આ ટાપુ જયારે ચાલુ હતો ત્યારે ત્યાં જવા માટે મંજુરી લઈને જ ત્યાં જઈ શકાતું હતું, આવા સંવેદનશીલ સંજોગો વચ્ચે સીધા જ મોટા વિકાસ કામોની વાતથી આ મુદ્દો આગામી સમયમાં કલર પકડે તો નવાઈ નહી.
– શું કહ્યું પર્યાવરણપ્રેમી વિજયસિંહ જાડેજાએ
મને જાણવા મળ્યું કે પીરોટન ટાપુનો રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવા માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, અને જે ટેન્ડરમાં ઘણા ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જેને કારણે ત્યાં હોટેલ અને રેસ્ટોરન્ટ બનશે, અને છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ પ્રેમીઓ માટે પણ આ ટાપુ પર જવું પ્રતિબંધ છે, ત્યારે એવું લાગે છે કે રાજ્ય સરકારને કોઈએ ગેરમાર્ગે દોરી છે, અને જો રાજ્યસરકારના પ્લાનીંગ મુજબ ત્યાં ડેવલપમેન્ટ થશે તો દરિયાઈ જીવસૃષ્ટિને મોટું નુકશાન થશે ત્યારે અમે માંગ કરી છે કે સરકાર આ મુદ્દે ફેરવિચારણા કરે અન્યથા અમારે હાઈકોર્ટમાં જવાની ફરજ પણ પડશે.
– શું કહે છે રેંજ ફોરેસ્ટ ઓફીસર પ્રતિક જોશી
ગુજરાત સરકારના ગૃહવિભાગ હેઠળ ગુજરાત આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવામાં આવી છે, અને આ ઓથોરીટીનું કાર્ય જે ગુજરાતના દરિયાકાંઠે આવેલ ટાપુઓનું સંરક્ષણ, કન્ઝર્વેશન, અને તેમાંથી કઈ રીતે રેવન્યુ જનરેશન થઇ શકે તે જુએ છે, આ ઓથોરીટીની પ્રાથમિક મીટીંગ થઇ તેમાં 13 જેટલા ટાપુઓનું સિલેકશન કરી અને ત્યાંશું કાર્યવાહી થઇ શકે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે, તેમાં જામનગરના પીરોટન ટાપુનો પણ સમાવેશ થાય છે જેને આનુસંગિક એક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે, અને આ તમામ કામગીરી ગાંધીનગર વડી કચેરીએથી જ થાય છે.