Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનના નાણા ખાનગી બેંકમા રાખવાના કોભાંડમાં કોઇનુ હિત સચવાયેલુ છે તેવી બે જાગૃત નગરસેવકોની વિસ્તૃત લેખિત રજુઆતથી સમગ્ર ચર્ચાસ્પદ બાબતોનો અને સંવેદનશીલ મુદાનો પર્દાફાશ થયો હોય હવે તો ચીફએકાઉન્ટન્ટ થી માંડી લગત સૌ માં ચકચાર પણ મચી જશે અને જવાબ દેવા તેમજ ખુલાસા કરવા આકરા પડી જશે કેમકે કોર્પોરેટરોની રજુઆત પરથી એવુ લાગે છે આ નાણાકીય વ્યવહાર લાંબા સમયથી અને કોઇ ચોક્કસ કારણથી ચાલતો હશે તેમજ આ ખેલ ખોટો હશે પ્રજાના તેમજ કોર્પોરેશનના હિતમાં નહી હોય નહીતર લેખીત રજુઆત જ ન કરવી પડે માટે તેના ઉપરથી આ બાબતની ગંભીરતાનો અંદાજ આવે છે,
જામનગર કોર્પોરેશનના તેમજ પ્રજાના હિતને ગંભીરતાથી પ્રાધાન્ય આપી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કેશુભાઇ માડમ અને કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાએ ચીફ એકાઉન્ટન્ટ તેમજ કમિશ્નરને લેખીત રજુઆત કરી છે કે કોર્પોરેશન ની રોજબરોજ ની વેરા વગેરે આવક ગ્રાન્ટ સરકારી યોજનાની રકમો ડીપોઝીટસ વગેરે સરકારી-રાષ્ટ્રીયકૃત બેંકમાં જ રાખવા જોઇએ કોઇ ખાનગી બેંકમાં આ જાહેર જનતાના તેમજ સરકારના નાણા રાખવા હિતાવહ નથી કેમકે ખાનગી બેંકમાં જોખમ છે તાજેતરમાં ખાનગી બેંક યશ બેંકના દાખલો ટાંકી બંને જાગૃત કોર્પોરેટરોએ ચિંતા વ્યક્ત કરી છે કે ખાનગી બેંકમા આ રીતે મહામુલા નાણા રાખવા જોઇએ નહી,
આ રજુઆતમાં જણાવાયુ છે સરકારનુ ચોખ્ખુ નિદર્શન હોવા છતા જામનગર કોર્પોરેશને જે કોઇ જંગી રકમ કોઇ ખાનગી બેંકમાં રાખી છે તે એક પ્રકારનુ કૌભાંડ છે અને તેમાં કોઇનુ હિત સમાયેલુ છે તેવુ ગંભીરતાથી અને જવાબદારીથી જણાવ્યુ છે, આ બાબત ઉપરથી છણાવટ કરીએ તો નાણા ક્યા-ક્યા કેટલા કેટલા રાખવા તે તો ચીફ એકાઉન્ટન્ટ જ નક્કી કરે બીજી કોઇ બ્રાંચને આ બાબતે લેવા દેવા ન હોય તે દેખીતુ છે હવે ખાનગી બેંકમાં નાણા રખાયા છે તે નિયમ વિરૂદ્ધ અને જોખમી છે તેમ પણ કોર્પોરેટરોએ જણાવ્યુ છે તેમજ તેઓની રજુઆતને વધુ ગંભીરતાથી લઇએ તો આમ કરવામાં કૌભાંડ થયાની અને કોઇનુ હિત હોવાનુ જણાય છે તો હવે પ્રશ્ન એ છે કે કૌભાંડ કર્યુ કોણે? હિત સચવાયુ કોનુ?
આ બાબતે વધુ ઉંડા ઉતરતા જાણવા મળ્યુ છે કે ચીફ એકાઉન્ટન્ટને આ બાબતે અગાઉ પણ ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ આ બાબતે પુછાયેલુ છે પરંતુ બાદમાં શુ બન્યુ તે બહાર નથી આવ્યુ, તેમજ બીજો ખુબ મહત્વનો સવાલ એ છે કે જીણી-જીણી બાબતોની ક્વેરી કાઢવામાં માહિર તેમજ ચોક્સાઇના આગ્રહી બારીકાઇથી આખી ફાઇલોના પોઇન્ટસ ઉપર ચકરડા કરવાના નિષ્ણાંત કમિશ્નર સાહેબે આ અતિ ગંભીર અને સંવેદનશીલ બાબતે ચીફ એકાઉન્ટન્ટ ને તાકીદ કરી કોઇ ખુલાસો નહી માંગ્યો હોય? કે પછી કમિશનર સાહેબને પણ એકાઉન્ટન્ટ કંઇક ગોળ ગોળ સમજાવી દીધા હોય તેવુ પણ બને જો કે એમ કહેવાય છે કે સાહેબ કાયદાનુસાર ચાલવાવાળા છે તે ચલાવી તો નજ લે છતા કેમ થયું? કદાચ હવે ફરજ પાડે એવુ પણ બને તેમ પણ એક અભિપ્રાય છે.
ગમે તેમ હોય હવે તો પ્રજાના નાણાની સલામતીને કોર્પોરેશનના સતાવાળા કેટલી ગંભીરતા લે છે તે ખબર પણ પડી જશે અને જે રીતે રજુઆતમા જણાવાયુ છે તેમ કૌભાંડ અને હિત સચવાયુ હશે તે બહાર આવશે અને આવુ કરવામાં કોઇ સ્વરૂપે ફાયદો લેવાયો હશે તે પરત આપવો પડશે કે કેમ તે બે સવાલ મોં ફાડી ઉભા છે કેમકે આ બાબતે સમયાંતરે સવાલ પુછી મોરચો પણ મંડાય તો પણ નવાઇ નહી કેમકે આ બંને નગરસેવકો કોર્પોરેશન અને જામનગરની જનતાના નાણાઓના હિતમાં આ મુદે જરા પણ મચક આપવાના મુડમાં નથી.