Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની વધુ એક શાખાનું ભોપાળું ઓડીટ અહેવાલમાં છતું થયું છે, જેમાં કોઈની માલિકીની જગ્યામાં મનપા આવાસ યોજના બનાવવા માટે ઘુસી ગયાનું સામે આવતા અંતે આ મામલો સમોનમો તો મૂળ માલિકને હાથેપગે લાગીને કરી લીધો પણ આ મામલે જેની ભૂલ છે તે કંટ્રોલીંગ અધિકારી, નાયબ ઈજનેર, કન્સલ્ટીંગ એજન્સી સામે પગલા ક્યારે લેવામાં આવશે કારણ કે ઓડીટરે જે અહેવાલ સાદર કર્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કામમાં જે કોઇની બેદરકારી અને ભુલ હોય તેવા તમામની સામે કમિશ્નર દ્વારા કાર્યવાહી કરી પગલા લેવા પણ કમિશ્નર આ ગંભીર બાબતની નોંધ લઈને પગલા લેશે કે કેમ તે જોવાનું છે..
આ બાબત કઈક એવી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવા માટે સને 2016માં સરકારના જનરલ દફતર વિભાગ ધ્વારા અલગ અલગ 4 યુ.એલ.સી. જગ્યા કુલ 7724 ચો.મી. જગ્યા જામનગર મહાનગરપાલિકાની સોપવામાં આવેલ. આ આવાસ યોજનાના આર્કિટેકટ તેમજ પ્રોજેકટ મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ તરીકે બને કામગીરીમાં કન્સલ્ટન્ટ તરીકે નિમાયેલ મનીષભાઈ રૂપારેલીયા દ્વારા આ અન્વયે D.P.R. બનાવતી વખતે કુલ 1886 ચો.મી. જમીન એટલે કે 7724 + 1886 કુલ 9610 ચો.મી. નો D.P.R. બનાવવામાં આવેલ. આ 1886 ચો.મી. અન્ય માલીકીની જમીન પૈકી 1131 ચો.મી. જગ્યામાં આવાસ યોજના અંતર્ગત R.C.C, પ્રકારનું ગ્રાઉન્ડ ફલોરથી આઠ માળ સુધીનું ચણતર કામ પુર્ણ થઇ જતા આ જમીનના માલિક લીલાવંતીબેન કંડોરિયા દ્વારા મહાનગરપાલિકાને તા. 6-8-2018 ના રોજ લીગલ નોટીસ આપવમાં આવેલ હતી,
આ વિવાદાસ્પદ જમીન સબંધે અરજદારને જમીન ફાળવવા મહાનગરપાલિકાના જુદા-જુદા બે સ્થળોએ ત્રણ પ્લોટવાળી કુલ 1887 ચો.મી. જમીન મહાનગરપાલિકા અરજદારને સોપે અને અરજદાર આ આવાસ યોજનાની તેમની જમીન મહાનગરપાલિકાને સોપી તે મુજબ અદલા બદલીનો દસ્તાવેજ મહાનગરપાલિકાને કરવા અંગેના નિર્ણય અર્થે તેમજ આવાસ યોજનાની અગત્યતાને ધ્યાને લઇ પ્રોજકેટમાં થયેલ ભુલ અને તે અંગે કન્સલ્ટન્ટને કરવાની રહેતી પેનલ્ટી તેમજ કોર્પોરેશન લેવલે આ કામે જે કોઇ કર્મચારી અધિકારીની ભુલ હોય તેમની સામે કમિશ્નરએ અલગથી કાર્યવાહી કરી પગલા લેવા સ્ટે. કમીટી થ્રુ જનરલ બોર્ડ સમક્ષ અરજન્ટ બિઝનેશ તરીકે રજુ કરવામાં આવતા જનરલ બોર્ડ દ્વારા અરજદારને મનપાની માલિકીની બે જુદા-જુદા સ્થળોએ ત્રણ પ્લોટ વાળી કુલ 1887 ચો.મી. જમીન સોપી જંત્રી મુજબ જમીનના વેલ્યુએશનના તફાવતના રૂા. 315562/- જે થવા જાય છે જે અરજદાર પાસેથી જમા લેવા પણ ઠરાવ્યું હતું,
તો આ અંગે પ્રોજેકટના કન્સલ્ટન્ટની બેદરકારી-ભુલ અંગે રૂા. 1194175/- કન્સલ્ટન્ટને પેનલ્ટી કરવા માટે કમિશ્નર દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત અન્વે આ પ્રોજેકટની સંપુર્ણ કન્સલ્ટન્ટ ફી રૂા.2587335/- પેનલ્ટી તરીકે વસુલ કરવા જનરલ બોર્ડમાં મંજુર કરવામાં આવેલ તદઉપરાંત આ કામમાં જે કોઇની બેદરકારી અને ભુલ હોય તેવા તમામની સામે કમિશ્નર દ્વારા કાર્યવાહી કરી પગલા લેવા આવી જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયા છતાં આજદિન સુધી આ બાબતે કોઈ પગલા લેવાયું ધ્યાને નથી કે ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓને બચાવવામાં આવી રહ્યા છે, તેવો વેધક સવાલ પણ આ ઓડીટ અહેવાલ પરથી ઉઠી રહ્યો છે.
તો આ અન્વયે કન્સલ્ટન્ટ પાસેથી ચુકવાયેલ રકમની કરવાની રહેતી રીકવરી તેમજ કરવાની થતી પેનલ્ટી ની વસુલાતની અમલવારી કરી આધાર સહ ઓડીટે ખાત્રી પણ હજુ સુધી ના થઇ હોય તેમ લાગછે, તે જ રીતે અરજદાર પાસેથી કરવાની રહેતી વસુલાત સબંધે તે જ રીતે લગતોની બેદરકારી અને ભુલ સબબ કરવામા આવેલ કાર્યવાહી તેમજ અમલવારી સબંધે પણ આધાર સહ ઓડીટે ખાત્રી કરાવવાની રહેશે. પણ જોઈએ આ ઓડીટ અહેવાલને ગંભીરતાથી લઈને આવી ગંભીર ભૂલ કરનાર જવાબદારો મનપાના લાખોના પગારદાર સામે શું પગલા ભરવામાં આવે છે.?
-તો શું જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવની કોઈ અમલવારી જ નહિ..?
આ મામલે જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે આ મામલે જે કોઈની ભૂલ હોય એટલે કે જવાબદાર અધિકારીઓ સહીત સામે કાર્યવાહી કરી પગલા લેવા..તેની સામે વર્ષોના વ્હાણા વીતી ગયા શા માટે કોઈ પગલા લેવામાં આવ્યા નથી, અને જો પગલા આવ્યા હોય તો ઓડીટ દ્વારા આ મામલે કરવામાં આવેલ તાકીદનું શું.? અને જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગમાં ઠરાવ થયો હોવા છતાં કોના હિત માટે પગલા લેવામાં ના આવ્યા અને કયું એવું ચોક્કસ કારણ છે કે પગલા લેવામાં ખચકાટ અનુભવાઈ રહ્યો છે તે પણ જાણકારોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.