Mysamachar.in-અમદાવાદ
જે ઘરમાં નાના બાળકો હોય તેવા વાલીઓએ બાળકો પર પુરતું ધ્યાન આપવું જોઈએ. કારણ કે અણસમજ બાળક તેના હાથમાં આવતી જો કોઈ જોખમી વસ્તુઓ ગળી જાય તો મુસીબત સર્જાઈ જાય છે, આવો જ એક કેસ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો જ્યાં એક બાળક રમત રમતમાં નાનો સ્ક્રૂ સહિતની કેટલીક વસ્તુઓ ગળી ગયો હતો. અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા રામકલાલ ચૌહાણનો 2 વર્ષનો બાળક પિયુષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો. જેના કારણે તેને સમયાંતરે ઉલ્ટીઓ થવાની શરૂ થઇ. જેને તેમના માતા-પિતાએ નઝરઅંદાજ કરીને સામાન્ય દવાઓ આપી.જ્યારે પિયુષને સતત શરદી અને ઉધરસ રહેવા લાગી ત્યારે તેના માતા-પિતા ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઇ ગયા.
ખાનગી હોસ્પિટલના તબીબોએ એક્સ-રે કરાવતા પિયુષ ત્રણ થી ચાર વસ્તુઓ ગળી ગયો હોવાનું જાણવા મળ્યું. ત્યાંના સર્જનોએ એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ. જે ખાનગી તબીબોએ સર્જરી કરીને દૂર કરી. પરંતુ આ બંને વસ્તુની સાથે સ્ક્રુ પણ તેના પેટમાં હતા. જેણે તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા. જેની સર્જરી કરવી ખાનગી તબીબો માટે જોખમ ભરેલી અને ખર્ચાળ પણ હોવાથી સામાન્ય વર્ગના પરિવાર માટે અશક્ય બની રહી હતી. જેથી પિયુષના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા.
તબીબોના અનુભવના આધારે આ સ્ક્રુ લગભગ 6 થી 8 મહિનાથી આંતરડામાં ચોંટી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું. 2 વર્ષના બાળકના બંને આંતરડા વચ્ચે ફસાયેલા સ્ક્રુને સર્જરી દ્વારા દૂર કરવું પડકાર ભરેલું હતું.આ તમામ પડકાર ભરેલી પરિસ્થિતિઓ જોતા સિવિલ હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે પિયુષને આ પીડામાંથી મુક્ત કરવાનું બીડુ ઉપાડ્યુ. તેઓએ એનેસ્થેસિયા વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિરણ પટેલ અને તેની ટીમના સહયોગથી આ સર્જરી હાથ ધરી.સર્જરી દરમિયાન તબીબોને આશ્રર્યમાં મૂકે તે બાબત એ હતી કે, સ્ક્રુનો આગળનો ભાગ મોટા આંતરડામાં જ્યારે પાછળનો અણીદાર ભાગ નાના આંતરડા વચ્ચે ચોંટી ગયો હતો. આ સર્જરી દરમિયાન ખૂબ જ ચોકસાઇ વર્તવાની જરૂર હતી.
બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી આ સર્જરીની જટીલતા સમજાવતા કહે છે કે, સામાન્ય રીતે બાળકોમાં ઘણી વખત સિક્કા, પીન, ચાવી, બટન, નાના રમકડા, પથ્થર અને સ્ક્રુ જેવા બાહ્ય પદાર્થો ગળી જવાના કિસ્સા આવતા હોય છે બાળક જ્યારે કોઇ બાહ્ય પદાર્થ ગળી જાય ત્યારે તે પ્રથમ નાના આંતરડામાં પ્રવેશે છે ત્યાં થઇને મોટા આંતરડામાં પહોંચી મળમાર્ગથી બહાર નીકળી જાય છે. ઘણી વખત ખોરાકની સાથે મિશ્ર થઇને મળમાર્ગ દ્વારા પણ નીકળી જવાની ઘટનાઓ અમે જોઇ છે. પરંતુ પીયુષના કિસ્સામાં સ્ક્રુના ઉપરનો ભાગ નાના આંતરડામાં પ્રવેશ્યો અને ત્યારબાદ તે મોટા આંતરડા અને નાના આંતરડા બંને વચ્ચે ચોંટી જઇ ફસાઇ ગયુ હશે તેવું અમારૂ અનુમાન છે.આટલી જટિલ છતાં સર્જરીને તબીબોએ પાર પાડી જે પ્રશંસાને પાત્ર છે.