Mysamachar.in-વડોદરા
રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખુબ મોટી છે, અને આજના સમયમાં યુવાઓમાં કોર્પોરેટ કલ્ચર કરતા સરકારી નોકરીઓનું ચલણ વધી રહ્યું છે, અને યુવાઓ પોતાને સરકારી નોકરી મળે તે માટે તમામ શક્ય પ્રયાસો કરતા હોય છે, છતાં પણ સરકાર તો બેરોજગારોને પુરતી તકો આપવામાં આવતી હોવાનો વારંવાર દાવો કરે છે, ત્યારે આવા કેટલાક શિક્ષિત બેરોજગાર યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવી રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો વડોદરામાં પર્દાફાશ થયો છે. 54 જેટલા શિક્ષિત બેરોજગાર યુવાન પાસેથી 1 કરોડ જેટલી રકમ પડાવનાર ટોળકીના 3 સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે અને દિલ્હીના 2 શખ્સને વોન્ટેડ જાહેર કર્યાં છે.
આ બોગસ રેલવે ભરતી કૌભાંડની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, વડોદરામાં રેલવેમાં નોકરી અપાવવાનું કૌભાંડ આચરતી ગેંગ ફરી સક્રિય થઇ હોવાની વિગતો SOGને મળી હતી. જેને આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી ટોળકીના માસ્ટર માઈન્ડ તુષાર પુરોહિત જે ઓલ્ડ પાદરા રોડ પર આવેલી મનીષા ચોકડી પાસે ઉદયનગરમાં એક ઓફિસ ભાડે રાખી હતી. અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરવાની શરૂઆત કરી હતી. જોકે, આ ટોળકી રાતોરાત બેરોજગારોનું ફૂલેકું ફેરવીને જતી રહે તે પૂર્વે જ SOGએ દરોડો પાડીને ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને સ્થળપરથી મોટી માત્રામાં બોગસ દસ્તાવેજો સહિતની સામગ્રી કબજે કર્યાં હતા.
તુષાર પુરોહીત રેલ્વ રીક્રુટમેન્ટ બોર્ડના નામે ભારત સરકાર, રેલ મંત્રાલયમાંથી ઉમેદવારોની ભરતી થાય છે તે પ્રક્રિયાની કાર્યવાહીથી સુંપુર્ણ વાકફે હોય છે અને દિલ્હી ખાતે તેના સાગરીતો પાસેથી રેલ મંત્રાલયના લોગો તેમજ અશોકસ્તંભ વાળુ રેલવેમાં ભરતી અંગેનુ બનાવટી સાહીત્ય મેળી લેતો હતો. ત્યારબાદ રેલવેમાં જુદી જુદી જગ્યાઓની ભરતી માટેના ઉમેદવરોને ફોર્મ ભરાવી નોકરી અપાવવાનો ભરોસો અપાવી દિલ્હી, જયપુર અને મુંબઇ ખાતે હોટલનુ બુકિંગ કરાવી પરિક્ષાનુ આયોજન કરતો હતો. પરિક્ષા બાદ ઉમેદવારોને દિલ્હી ખાતે રેલ મંત્રાલયની વિવિધ કચેરીઓની મુલાકાત કરાવી તબક્કાવાર તેમની પાસેથી રૂ. 70 હજારથી 5 લાખની રકમ પડાવી લેતા હતા.
રેલવે બરતી બોર્ડનુ કૌભાંડ આચરી તાજેતરમાંજ 54 બેરોજગારો પાસેથી અંદાજીત રૂ. 1 કરોડની રકમ પડાવી લેવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. SOGએ આ કૌભાંડમાં તુષાર યોગેશભાઈ પુરોહિત, દિલીપ સોમાભાઈ સોલંકી , કૌશલ ઘનશ્યામભાઈ પારેખ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં ટોળકીએ 54 ઉમેદવારો પાસે 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ટોળકી પાસે રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ, નિમણૂંક પત્રો, રેલવે વિભાગનું સિલેક્શનનું મેરિટ લિસ્ટ, રેલવે મંત્રાલયની ફાઇલો, વાઉચર બુક, નેમ પ્લેટ, રેલવેની રિસિપ્ટ બુક, જુદા જુદા હોદ્દાઓના વિઝિટિંગ કાર્ડ, લેપટોપ અને મોબાઈલ સહિતના થોકબંધ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. અને આ કૌભાંડમાં ફરાર થઇ ગયેલા દિલ્હીના બે સાગરીતને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.