Mysamachar.in-ગાંધીનગર
દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં થોડા દિવસ પૂર્વે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કથાકાર મોરારિ બાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા હતા. અનેક સાધુ-મહંતોએ પણ આ ઘટનાને વખોડી હતી. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ટ્વીટ કરીને કલાકોમાં જ આ ઘટનાની નિંદા કરી હતી. હવે આ ઘટનાને લઈને સાધુ સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં દુધરેજ મંદિરના મુખ્ય મહંત કનિરામ મહારાજ, જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસ મહારાજ, અમદાવાદ થલતેજ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ, સહિત સાધુ સંતો રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીના નિવાસ્થાને પહોંચ્યા હતા.
સીએમ સાથે મુલાકાત બાદ લલિત કિશોર દાસજી મહારાજે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, મોરારિ બાપુ સાથે પબુભા માણેકે અવિવેક કર્યો તેની સીએમને રજૂઆત કરવામાં આવી છે. તેમણે પબુભા માણેક માફી માગે તેવી માગણી કરી છે. આ સાથે પબુભાને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સ્થાન ન મળે તે રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. હવે પોતાને સંવદેનશીલ સરકાર ગણાવતી સરકાર આ મામલે કેવા અને શું પગલા પબુભા માણેક સામે ભરે છે તે જોવાનું છે.