Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં કેટલાય ગેરકાયદેસર બાંધકામોને મનપાની ટીપીઓ અને એસ્ટેટ શાખા પોસી રહી છે, માત્ર નોટીસો આપી સંતોષ માનતું ટીપીઓ વિભાગ ક્યારેય નક્કર કાર્યવાહી કરવા માટે આગળ આવતું નથી(હા કોઈનું દબાણ હોય અને દબાણને વશ થઈને કરવું પડતે તેમાં વાત અલગ છે, બાકી તો ગેરકાયદેસર બાંધકામોને નિયમમુજબની નોટીસો પાઠવીને ‘સુરક્ષા’ પ્રદાન કરવાની ખાસ સ્કીમ પણ અમલી હોવાનું ચર્ચાય છે, જેના માટે કેટલાક “એજન્ટો” પણ સક્રિય છે) બાકી તો બંને વિભાગો ભેગા મળી કુલડીમાં ગોળ ભાંગે છે તેવા આક્ષેપો અને રજુઆતો ભૂતકાળમાં થયા છે અને થતા રહે છે, અને તે બાબતો રેકર્ડ પર છે. એવામાં વિપક્ષ અને સામાજિક કાર્યકરો તો ઠીક પણ ખુદ મનપાના શાશક પક્ષ ભાજપના એક નહિ પણ બે-બે કોર્પોરેટરોને ગેરકાયદેસર દબાણો અને તેને લઈને ઉભી થયેલ મુસીબત અંગે લેખિત રજૂઆત કરી જાહેર થવું પડે તેનાથી મોટી શરમજનક બાબત ટીપીઓ શાખા માટે કોઈ હોય શકે નહી..
જામનગર મહાનગરપાલિકાના ભાજપમાંથી ચુટાયેલા વોર્ડ નંબર-2 ના જાગૃત કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજાએ કમિશ્નરને સંબોધીને કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે તાજેતરમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અમારા વોર્ડ નં. 2ના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયેલ આ બાબતે સ્થાનિકે તપાસ કરતા અમારા વોર્ડ વિસ્તારમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કેનાલ અને નદી કાંઠો બંને વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો થઇ ગયેલા છે. તેમજ દબાણોના હિસાબે કુદરતી વરસાદી પાણીના નિકાલની કેનાલ સાંકડી થઇ ગયેલ છે અને કેનાલો ઉપર માથાભારે અને અસામાજીક તત્વો દ્વારા બાંધકામો કરી અને વેચાણ કરી નાંખવામાં આવેલ છે. જેના હિસાબે કુદરતી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયેલ હોય, આથી આ કુદરતી નહી પણ માનવ સર્જીત હોનારત સર્જાયેલ છે. આથી સ્થાનિકે તાત્કાલીક સ્થળ તપાસ કરાવી કેનાલો પહોળી કરવામાં આવે તેમજ જીકજાક દુર કરવામાં આવે અને કેનાલો ઉપર તેમજ કેનાલી આસપાસ થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે તો જ આ પ્રશ્નનો નિવાડો આવી શકે તેમ છે.
જો આ બાબતે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં નહિ નહિ આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગે ઉભી થનાર પરિસ્થિતિ અંગે જે તે બેદરકાર અધિકારીઓની જવાબદારી ગણવાની રહેશે. હવે સવાલ એ થાય કે આ બન્ને કોર્પોરેટરોએ ટીપીઓ વિભાગના વડાને કે નાયબ ઈજનેર કે લગત અધિકારીઓને મૌખિક જાણ કરી હશે… કાઈ જ નહિ થયું હોય માટે જ લેખિત રજૂઆત કરવી પડી હશે..ત્યારે હવે શાશક જૂથના કોર્પોરેટરોએ થયેલ ગેરકાયદેસર બાંધકામ અને તેના કારણે સર્જાયેલ સમસ્યાની રજૂઆત બાદ કેવા અને શું પગલાઓ લેવાશે કે પછી “ખાસ સ્કીમ” અહી પણ અમલી બનશે તે જોવાનું છે.