Mysamachar.in:જામનગર
આપણે સૌ જાણીએ છીએ કે, જામનગર સહિત રાજ્યભરમાં વાહન વ્યવહાર કચેરીઓમાં ઘણાં પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોય છે ! ત્યાં સુધી કે, કોમ્પ્યુટર ટેસ્ટમાં હાજર રહ્યા વિના પણ કેટલાંક લોકો લાયસન્સ સુધ્ધાં મેળવી લેતાં હોય છે, આ ટેસ્ટ ફરજિયાત હોવાં છતાં !! હવે આ પ્રકારની ગોબાચારીઓ પર બ્રેક લાગી શકશે. જામનગર સહિત રાજ્યભરમાં તમામ વાહન વ્યવહાર કચેરીઓને સ્માર્ટ બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે ગાંધીનગર ખાતે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ થશે. જે રાજ્યભરમાં આરટીઓ કચેરીઓનું રિઅલ ટાઈમ મોનિટરીંગ કરશે.
આ સાથે જ શિક્ષણ વિભાગની માફક આરટીઓમાં પણ વધુ સેવાઓ અને સુવિધાઓને ઓનલાઇન બનાવવામાં આવશે તથા એ રીતે જામનગર સહિત રાજ્યભરમાં તમામ વાહન વ્યવહાર કચેરીઓને સ્માર્ટ બનાવવામાં આવશે. હાલમાં અરજદારોને આરટીઓ કચેરીમાં વિવિધ કામો તથા કવેરીઝ માટે અલગ અલગ બારીઓ પર દોડવું પડતું હોય છે. આ નવા પ્રોજેક્ટમાં અરજદારોની આ સમસ્યાનો ઉકેલ શોધવા પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજદારોને સિંગલ વિન્ડો સોલ્યુશન પ્રાપ્ત થશે, એમ સૂત્રો જણાવે છે.
આ પ્રોજેક્ટમાં ટ્રાન્સપરન્ટ કયૂ અને વેઈટ મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવશે. જેથી કતારોમાં ઉભવાનો અરજદારોનો સમય પણ બચશે.આ પ્રોજેક્ટમાં કચેરીઓ વિઝિટર ફ્રેન્ડલી હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાયદાઓનું પાલન તથા દરોડાની કામગીરી સ્માર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત વાહન વ્યવહાર કચેરીઓમાં જે કામો લાંબા સમય સુધી પડતર રહે છે તેનાં પણ ઉપાયો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકાર સિટિઝન એપ લોન્ચ કરશે, જેની મદદથી અરજદારો મોટાભાગના કામો ઘરે બેઠા નિપટાવી શકશે.
આ ઉપરાંત આરટીઓ અધિકારીઓ માટે અન્ય એક એપ ‘લો એન્ફોર્સમેન્ટ એન્ડ રેવન્યુ મેક્સિમાઈઝેશન’ લોન્ચ કરવામાં આવશે, જેની મદદથી વીમો, ફીટનેસ તથા PUC સર્ટિફિકેટ, વાહનમાલિકે ભરવાપાત્ર ટેકસ તથા વાહનોની અન્ય ડિટેઈલ વગેરે બાબતો અધિકારીઓ ઓફિસમાં બેઠાં બેઠાં વેરિફાઈ કરી શકશે. વાહનનાં રજિસ્ટ્રેશન નંબરને સ્કેન કરી અધિકારીઓ એ વિગતો પણ મેળવી શકશે કે, સંબંધિત વાહને નિયમભંગનાં કિસ્સાઓમાં ભરવાપાત્ર દંડની રકમ ભરી છે કે, તેની પાસેથી વસૂલવાની બાકી છે ? રાજ્યભરની આરટીઓ કચેરીઓને વધુને વધુ પિપલ ફ્રેન્ડલી બનાવવા તથા વાહન વ્યવહાર કચેરીઓને વધુ સ્માર્ટ બનાવવામાં આ પ્રોજેક્ટ અતિશય મહત્વની ભૂમિકા ભજવશે, એમ સૂત્રો જણાવે છે.