Mysamachar.in:ગુજરાત
દિલ્હીનાં એક એડવોકેટ દ્વારા વડી અદાલતમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે – રૂ.500 અને રૂ.2,000 ની ચલણી નોટો સરકારે ચલણમાંથી પાછી ખેંચી લેવી જોઈએ. આ આખો મામલો કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સંબંધી છે.
ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા અંગેની એક અરજીનાં આધારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હીની સરકારોને આ અંગે તેઓનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. આ અરજીમાં રૂ.100 થી વધુનાં મૂલ્યની ચલણી નોટો પાછી ખેંચવા, રૂ.10,000 થી વધુનાં રોકડ વ્યવહારો નિયંત્રિત કરવા અને રૂ.50,000 થી વધુ મૂલ્યની એસેટને આધારકાર્ડ સાથે લિંક કરવા માંગણી કરવામાં આવી છે.
આ અરજીમાં કહેવાયું છે કે, રૂ.10,000 કે તેથી વધુ રકમની રેલ્વે-એર ટિકિટ, વીજળી, એલપીજી,સીએનજી બિલ, મ્યુ.બિલ સહિતના રોકડ વ્યવહારો પર નિયંત્રણો મૂકવા આવશ્યક છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભ્રષ્ટાચાર – કાળું નાણું – મની લોન્ડરિંગ તથા આવકનાં પ્રમાણમાં અપ્રમાણસર મિલકતો વગેરે સમસ્યાઓને અંકુશમાં લેવા આ પ્રકારના નિયંત્રણો જરૂરી છે. આ વ્યવહારિક ઉકેલ હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું છે.
વડી અદાલતની ખંડપીઠ દ્વારા કેન્દ્ર અને દિલ્હીની સરકારોને પોતાના વકીલો મારફતે, આ અરજી અંગે વલણો સ્પષ્ટ કરવા કહેવામાં આવ્યું છે. આ અરજીની આગામી સુનાવણી ઓગસ્ટ મહિનામાં થશે. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે આ અરજીમાં જણાવ્યું છે કે, ભારત ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ વગર પ્રગતિ કરી શકશે નહીં. અરજીમાં તમામ પ્રકારના સામાનો અને ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણમાં પણ આ પ્રકારના નિયંત્રણોની માંગણી કરી છે.