Mysamachar.in:ગુજરાત
નોટબંધી ગુજરાત સહિત દેશભરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચામાં સૌનો રસનો વિષય રહ્યો છે. કેટલાંક લોકો નોટબંધી કોને ફળી ? અને, કોનાં છાતીનાં પાટિયા ભીંસાઈ ગયા ?! એ મુદ્દે પાછલાં છ-સાત વર્ષથી, વારે તહેવારે ચર્ચા કરી રહ્યા છે. અન્ય વિષયોની માફક, આ વિષયમાં પણ સામાન્ય માણસોમાં થતી ચર્ચાઓ સત્યની વધુ નજીક હોય છે. નિષ્ણાંતો માત્ર ફીફાં ખાંડતા હોય છે અથવા શબ્દો ચોરીને, બીતાં બીતાં બોલતાં હોય છે !
સાત વર્ષ પહેલાંનો સમય ફરી શરૂ થયો છે ! સરકાર પાસે ટાઈમમશીન હોવા ઉપરાંત મનીમશીન પણ છે ! એવી તમતમતી મજાક પણ કેટલાંક લોકો નિર્દોષ રીતે કરતાં સાંભળવા મળી રહ્યા છે. કાલે શુક્રવારે રાત્રિથી ફરી આ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે ! રૂ.2,000 ની નોટમાં ચીપથી શરૂ થયેલી ચર્ચા, આજે રૂ.2,000 ની ચલણી નોટોના સ્વર્ગવાસ સુધી પહોંચી છે. કાલે રૂ.2,000 ની ચલણી નોટ સરકયુલેશનમાંથી નિયત સમયમર્યાદામાં પરત ખેંચવાની જે જાહેરાત કરવામાં આવી, ત્યારથી લોકોએ સોશિયલ મીડિયા પર ફરી એક વખત લાગતાવળગતાઓની ફીરકી ઉતારવાનું, મસ્તી કરવાનું, મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. લોકો સંબંધિતોની ભરપૂર મજાક ઉડાવે છે. અચરજની વાત એ પણ છે કે, આટલી ખતરનાક મજાક પછી પણ, સંબંધિતો પોતાનાં ‘કામ’ માં વ્યસ્ત છે.
રૂ.2,000 ની નોટ ચલણમાંથી ક્રમશઃ પરત ખેંચી લેવાનો નિર્ણય એટલે એક અર્થમાં, આ નોટનો સ્વર્ગવાસ ! એવું પણ ઘણાં લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. એક કાર્ટૂનમાં રૂ.1,000 ની નોટ સ્વર્ગમાંથી રૂ.2,000 ની નોટને કહે છે: આવતી રહે, અહીં ! ઘણાં કાર્ટૂનમાં એવું પણ કહેવાયું છે કે, યે તો હોના હી થા ! ઘણાં લોકો ‘નોટબંધીથી ફાયદાઓ શું થયાં ?’ એ મુદ્દે ફરીથી સંબંધિતોના ઝભ્ભાના છેડા ખેંચી રહ્યા છે ! પૂર્વ નાણામંત્રીએ તો એમ પણ કહી દીધું કે, રૂ.2,000 ની ચલણી નોટ કયારેય ‘સ્વચ્છ’ હતી જ નહીં ! અહીં પ્રશ્ન એ પણ થાય કે આ પ્રકારના ઘટનાક્રમ લોકો સમજે છે એટલાં જ ગંદા હોય છે કે, લોકોની સમજણ કરતાં પણ વધુ ગંદા ?!?
ટ્વીટર પર રૂ.2,000 ની ચલણી નોટોની નનામી અને ‘રામ’ એવું પણ જોવા મળે છે. કલાકાર રઘુવીર યાદવની એક તસવીર સાથે લોકોએ લખ્યું છે, ઠીક હું ભાઈ. અને સાથે બીજી તસ્વીરમાં લખ્યું છે, અબ મેં ચલતા હું. એક મીમ પર શાહરૂખ એક અન્ય કલાકારને કહે છે : અબ તુમ્હે દેખ લિયા, બીજી તસ્વીરમાં શાહરૂખ આ કલાકારને કહે છે: અબ તુમ જાઓ. એક ચીપ ઓનર એક મીમ પર બોલે છે : ઓયે, ચૂના લગા દિયા. લકઝરી બસમાં બેઠેલો એક પ્રવાસી બોલે છે : યહાં જાન ફંસી હૈ, ઔર આપકો મજાક સૂઝ રહા હૈ. રણબીર કપૂર નાં એક મીમ પર લખ્યું છે: 30 સપ્ટેમ્બર પછી, રણબીર કહેશે, અચ્છા ચલતા હું, દુઆઓ મેં યાદ રખના. ટૂંકમાં, સોશિયલ મીડિયા પર કાલે શુક્રવારે રાત્રિથી જ ગુસ્સો, નારાજગી, આક્રોશ, ચિંતા, ડર તથા હડબડી અને મજાક મસ્તી – બધું જ ઠલવાઈ રહ્યું છે. આ ઢગલામાં ક્યાંક એક સોઈ પણ છે, જે રિઆલિટી છે અને સંબંધિતોને ચોક્કસ જગ્યાએ ખૂંચી રહી છે !