Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે અને કોરોનાનો ફૂફાળો કાબૂમાં આવતો નથી લોકો સોશિયલ ડિસ્ટનસ જાળવતા નથી એને વીના કારણે ભીડ એકઠી કરતા હોવાથી કોરોનાનો લોકલ સંક્રમણ વધી ગયું છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારના સંખ્યાબંધ કેસો સામે આવતા ખુદ મ્યુનિ.કમિશનર સતીષ પટેલ આજે મેદાનમાં ઉતર્યા છે, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે, શહેરના હવાઈ ચોક અને ખંભાળિયા ગેટ આસપાસના વિસ્તારોમાં અનેક રેકડીઓ ખડકાયેલી હોવાથી અને ત્યાં તેના કારણે ભીડ એકઠી થતી હોવાથી આજે મ્યુનિ.કમિશનર સતીશ પટેલની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ 10 થી વધુ રેકડી કેબીનો તથા અન્ય સામગ્રી કબજે કરી લીધી હતી.
આ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં પણ કમિશનરની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ સપાટો બોલાવ્યો હતો અને 10 થી વધુ રેકડી પથારાઓ હટાવ્યા છે. આ ઉપરાંત જામનગરના સાત રસ્તા સર્કલ થી એસટી ડિવિઝન સુધીમાં અનેક રેકડીઓ ખડકાઈ જાય છે. સાથોસાથ ચશ્મા નો વેપાર કરનારા કેટલાક વિક્રેતાઓએ માર્ગ ઉપર ચશ્મા રાખવા માટેના પાટીયા ખડકી દીધા છે. એવા એકાદ ડઝન જેટલા પાટીયા પણ કબજે કરી લેવામાં આવ્યા છે. કમિશનર ની હાજરીમાં જ સમગ્ર શહેરી વિસ્તારમાં જ્યાં ભીડ એકઠી થતી હોય અથવા તો ગેરકાયદે રેકડી કેબિનો ખડકાઇ ગઇ હોય તેવા તમામ સ્થળો પરથી દબાણો હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જામ્યુકોના તંત્રની આ કાર્યવાહીથી અનેક ધંધાર્થીઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. તમામ જપ્ત કરેલો રેકડી સહિતનો માલસામાન મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.
-આવું કેટલા દિવસ રહેશે કારણ કે એસ્ટેટવિભાગનો સ્ટાફ તો ફૂટલો છે.
આજની કમિશ્નર સતીશ પટેલની જહેમત બિરદાવવાલાયક છે, પણ એસ્ટેટ શાખાનો સ્ટાફ ફૂટલો છે, અને તેની મહેરબાનીથી જ શહેરમાં રેકડી, પથારાના દબાણોને પોષણ મળે છે, શહેરમાં સ્થાયી અસ્થાયી દબાણોમાં આ શાખાની ભૂમિકા વરવી છે,.કમિશનર ખરેખર જો શહેરને રેકડી અને પથારાના દબાણ મુક્ત રાખવા માંગતા હોય તો એસ્ટેટ વિભાગના સ્ટાફ પર બારીકાઇથી નજર રાખવાની અને જરૂરી ફેરબદલ પણ કરવાની જરૂર છે તેમ જાણકારોનો મત છે.