Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક એકમો સ્થાનિકોને રોજગારી આપે છે? કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ઉઠાવેલા આ પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ વિધાનસભામાં કલીનચીટ આપીને સરળ પ્રશ્નનો ઉલટો જવાબ આપી સરકારના ઠરાવનું ઉલ્લંઘન થયુ જ ન હોવાનો દાવો કર્યો !! જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક એકમોએ સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવાના રાજય સરકારના ઠરાવનું કોઇ ઉલ્લંઘન કર્યુ ન હોવાનું સરકારે વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યના પ્રશ્ર્નના જવાબમાં જાહેર કર્યુ હતું,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભામાં સ્થાનિકોને રોજગારી આપવા સંબંધેના ગુજરાત સરકારના તા.31-3-1995ના ઠરાવની જોગવાઇઓનું ઉલ્લંઘન કરવા સામે, કેટલા એકમો વિરૂધ્ધ શું પગલા લેવામાં આવેલ છે. તે સંબંધે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતાં ધારાસભ્ય વિક્રમમાડમ દ્વારા જણાવવામા આવેલ કે તા.31-12-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જિલ્લાવાર શ્રમ અને રોજગાર વિભાગના તા.31-3-1995ના ઠરાવની જોગવાઇ મુજબ સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેટલા એકમો સામે શું પગલા લીધા ? આ એકમોમાં હાલની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સ્થાનિકોને રોજગારી આપવા બાબતની માહિતી ક્યારે એકત્ર કરવામાં આવી ? અને આ ઠરાવની જોગવાઇ મુજબ દર છ માસે માહિતી એકત્ર ન કરવામાં આવી હોય, તો જવાબદારો સામે શા પગલા લીધા ?
ઉપરોકત વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નોના જવાબમાં આવી બાબતોનો હવાલો સંભાળતા શ્રમ અને રોજગાર મંત્રીએ તેમના જવાબમાં જણાવવામાં આવેલ છે કે સ્થાનિક રોજગારીની મળેલ માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘન થયેલ ન હોય, એકમો સામે પગલા લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, તા.31-12-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમા જૂન-2018, ડીસેમ્બર-2018, જૂન-2019, ડિસેમ્બર-2019 અંતિત છ માસિક ધોરણે સ્થાનિક રોજગારીની માહિતી એકત્ર કરવામાં આવેલ છે વિશેષમાં દર છ માસે માહિતી એકત્ર કરવામાં આવેલ હોય, જવાબદારો સામે પગલા લેવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી આ મુજબની વિગતો ધારાસભ્યના પ્રશ્ર્ન અંગે રાજય સરકારના શ્રમ અને રોજગાર મંત્રીએ વિધાનસભામાં આપેલા પેપરવર્ક આધારિત જવાબથી સ્થાનિક લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે અને અગાઉની જેમ આ સરકારમાં પણ ઉદ્યોગકારોને આ રીતે કલીનચીટ આપવાની પરંપરા ચાલુ રહી છે તેમ ચર્ચાય છે.