Mysamachar.in:જામનગર
ગુજરાત સરકાર ખૂબ જ ખુશ છે. ગુજરાતનાં મતદારોએ ભારતીય જનતા પાર્ટીને ગત્ વિધાનસભા ચૂંટણીમાં તોતિંગ બહુમતી આપી તેથી નવી સરકારે જામનગર સહિતના મહાનગરોમાં વસતા સૌ નગરજનોને રિટર્ન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું હોય, એવું દેખાઈ રહ્યું છે ! જામનગર સહિત રાજ્યભરમાં બધી જ મહાનગરપાલિકાઓમાં સરકારનાં સીધાં પ્રતિનિધિ એવા કમિશનરોએ કરદરોમાં વધારાઓ સૂચવ્યા અને નગરજનો પર નવા ચાર્જનાં રૂપમાં વધારાનો નાણાંબોજ લાદવાની હિમાયત-વકીલાત-ભલામણ કરી છે ! આ પ્રકારના ડ્રાફ્ટ અંદાજપત્રોને જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલી પાંખ એટલે કે શાસકો કેવી રીતે જોવા ઈચ્છે છે ? તે આગામી દિવસોમાં ખબર પડી જશે. સરકારની નીતિ જોતાં એવું લાગે છે કે, શાસકો પણ કરદાતા નગરજનો પર કોરડો વીંઝશે જ અને સાથેસાથે નગરજનો પર હાથ પણ રાખશે. વિકાસ માટે શું શું કરવું જરૂરી છે ? તેની કહાનીઓ જનરલ બોર્ડમાં બજેટ રજૂ કરતી વખતે, મીડિયા સમક્ષ સંભળાવશે – એવું હાલ સમજાઈ રહ્યું છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, કોઈ પણ શહેરનાં સુચારૂ સંચાલન માટે તથા તે શહેરની મહાનગરપાલિકાની આર્થિક મજબૂતી તથા આત્મનિર્ભરતા માટે ટેક્સ અને વિવિધ પ્રકારના ચાર્જ વગેરે આવશ્યક છે. સૌ કરદાતા નગરજનોની આ જવાબદારી પણ છે. પરંતુ તેની સાથે સાથે બે મુદ્દાઓ પણ એટલાં જ મહત્વનાં છે – મહાનગરપાલિકાની નગરજનો પ્રત્યેની જવાબદારી અને મહાનગરપાલિકાનું આર્થિક સંચાલન કેવી રીતે થાય છે ? નગરજનો પાસેથી વિવિધ સ્વરૂપે નાણાં વસૂલતી મહાનગરપાલિકાઓ પ્રજાનાં નાણાંનું યોગ્ય સંચાલન કરે છે ? નગરજનોને પ્રાથમિક સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં આપે છે ? શહેરનો વિઝન સાથે વિકાસ થાય છે ? નગરજનોને સુવિધાઓ વાજબી દરોથી ઉપલબ્ધ થાય છે ? ટેક્સ અને ચાર્જ વસૂલવાની કામગીરીઓ યોગ્ય રીતે થાય છે ? ટેક્સ અને ચાર્જનાં બદલામાં નગરજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત વધારાની ક્વોલિટી સગવડો અને સેવાઓ મહાનગરપાલિકાઓ આપી રહી છે ? વગેરે પ્રશ્નોનાં જવાબો શાસકો અને અધિકારીઓએ શોધવા પડે. પછી જ કરદાતાઓ પર નાણાંબોજ લાદી શકાય.
અન્ય એક મુદ્દો : તમામ નગરજનો રાજય તથા કેન્દ્ર સરકારોને પણ વિવિધ વેરાઓ, ઉપકરો તથા સેસ વગેરે દિનરાત ચૂકવે છે. તેથી કેન્દ્ર તથા રાજયની સરકારોએ પણ શહેરનાં અદ્ભૂત વિકાસ માટે શહેરોને નાણાંની ફાળવણી માટે ધનની કોથળીઓ ખૂલ્લી રાખવી પડે. આપણે સૌ જાણીએ છીએ કે, રાજય સરકારમાંથી ગ્રાન્ટ અને સહાય તથા હક્કો મેળવવા મહાનગરપાલિકાનાં શાસકો તથા અધિકારીઓએ કુર્નિશ બજાવવી પડે છે, આજીજી કરવી પડે છે. વિનંતીઓ કરવી પડે છે. આ સ્થિતિ ટળવી જોઈએ, એવું નગરજનો ઇચ્છે છે. અને જો આ બધું યોગ્ય રીતે થઈ શકતું હોય તો, નગરજનોને નાણાંબોજ સહન કરવામાં કોઈ જ વાંધો નથી, એવું બુધ્ધિજીવી નગરજનો માની રહ્યા છે.