Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જે બેઠકમાં ભુજીયો કોઠો જે વર્ષ ૧૮૫૨માં આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ કોઠો ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર ગુજરાત રાજ્યની સૌથી ઉંચી ઈમારત હતી, આજે ઇમારતને ૧૬૮ વર્ષ જેટલો સમયગાળો વીતી ચુક્યો છે, ત્યારે આટલા વર્ષોના વાતાવરણના ઘસારા અને ખાસ તો ભૂકંપની વિપરીત અસર ને કારણે આ કોઠો ક્ષીણ થવા લાગેલ છે, ત્યારે રક્ષિત સ્મારક એવા ભુજીયા કોઠાના સ્ટ્રક્ચરનું રેસ્ટોરેશન, કન્ઝર્વેશન, ક્ન્સોલીડેશન અને રી પ્રોડક્શનની દિશામાં જામનગર મહાનગરપાલિકા આગળ વધ્યું છે,
આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભુજીયા કોઠાના આ કામ માટે ૨૪.૫૮ કરોડનો ખર્ચ મંજુર કરી દેવામાં આવ્યો છે, જે અન્વયે કન્સલ્ટન્ટ દ્વારા આ ઐતિહાસિક ઈમારતના પુનઃસ્થાપન, સરક્ષણ, ના કામ માટે આ ઈમારતના દરેક ભાગો જે જર્જરિત થયેલ છે, તેવા ત્રણેય માળના વિભાગોનું ટેન્ડરીંગ કરી ૨૪.૫૮ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં સ્થાપત્યના નાશ પામેલ માળનું રી-પ્રોડક્શન, ભુજીયાકોઠા સ્થાપત્યને ફોર્ટવોલ ઉપર ખંભાલીયા ગેટ તરફ આવતા ફોર્ટવોલ સાથે જોડવાનું તેમજ ત્રણેય માળને જોડતા પેસેજ સહિતનું કામ અલગ અલગ ૧૮ જાતના કામો પૂર્ણ કરી ફરીથી ભુજીયાકોઠાનો ઐતિહાસિક વારસો પુન:સ્થાપન કરવામાં આવશે.