Mysamachar.in-જામનગર
જામનગરના રક્ષિત એવા ભૂજીયા કોઠાના નવીનીકરણના ધમધમાટ શરૂ થઇ ગયા છે, મંજુરીના અભાવ કંઇક નાણાના અભાવ વચ્ચે મનપાનુ લગત તંત્ર ચાર-ચાર વર્ષથી મહેનત કરતુ હતુ તે અંતે સફળ થઇ છે જો કે ખંભાળીયા ગેઇટ રીનોવેશન કરાયો અને જંગી ખર્ચથી થયેલા આ સ્થળની મુલાકાત સાથે ભુજીયા કોઠાને જોવો મુલાકાતીઓ માટે રોમાંચક બની રહેશે, જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરની મહત્વની ઓળખસમા હેરીટેજ મોન્યુમેન્ટ જેવા પંચેશ્વર ટાવર, રણમલ તળાવ, સીટી મ્યુઝીયમ, ઝરૂખા, ખંભાળીયા ગેઇટ સહિતના કામો પુરા થયા બાદ જામનગરના ઐતિહાસીક કલાત્મક વારસાને ઉજાગર કરવા હવે ભુકંપમાં ઘ્વંશ થયેલ શહેરની શાન સમા ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન, ક્ઝર્વેશન અને કન્સોલિડેશન કામગીરી શરુ થઇ છે, આ માટે સ્ટે. કમિટીએ મંજુરીની મહોર મારી દીધી બાદ ટેન્ડરીંગ પ્રક્રીયા પણ પુરી થઇ અને કામગીરી પણ શરૂ થઇ ચુકી છે.
જામનગર મહાપાલીકા દ્વારા ઐતીહાસીક પરંપરાને જાળવી રાખવા માટે ભુતકાળમાં પણ પ્રયાસો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે, ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળતી કડી સમાન ભુજીયો કોઠો 1852માં નિર્માણ પામ્યો હતો તે સમયે તેની ઉંચાઇ 100 ફુટ હતી, જાણવા મળતી વિગત પ્રમાણે આ સ્ટ્રકચર ગુજરાત રાજયની સૌથી ઉંચી ઐતીહાસીક ઇમારત સમાન હતું, આ ભવ્ય ઇમારતને 168 વર્ષના વ્હાણા વીતી ગયા છે, સતત ઘસારા અને ભુકંપ આવ્યા બાદ આ સ્ટ્રકચરને ભારે નુકશાન થયું છે જેને ઘ્યાનમાં લઇને શહેરની ઐતીહાસીક ઇમારતની જાળવણી થાય અને લોકોને પણ ભુજીયા કોઠા અંગે માહિતી મળે તે માટે કોર્પોરેશન દ્વારા રક્ષીત સ્મારક એવા ભુજીયા કોઠાનું ક્ન્ઝર્વેશન, રેસ્ટોરેશન, રીપ્રોડકશન અને ક્ન્સોલીડેશન કરવામાં આવી રહ્યુ છે.
જામનગરનો ભુજીયો કોઠો એક ઐતીહાસીક વારસો ધરાવે છે, આ અંગે અગાઉ પણ સરકારમાં રજુઆત કરવામાં આવી હતી તેમજ પુરાતત્વ ખાતામાં પણ રજુઆત કરાઇ હતી કે જામનગરની શાન સમાન આ ભુજીયા કોઠાની મરામત કરવા માટે મંજુરી આપવામાં આવે, આ તમામ મંજુરીઓ મળી ગઇ છે એટલું જ નહીં, ટેન્ડરીંગ પ્રક્રિયા પણ પુર્ણ થઇ પુરાતત્વ ખાતે સાથે એમઓયુ થયા અને તાત્કાલીક અસરથી કામ શરૂ કરવામાં આવ્યુ છે જેનિ ટોચ પરથી ભુજ દેખાય તેમ મનાય છે અથવા ભુજમા પણ છે તેવો જ સેઇમ કોઠો છે તેમ મનાય છે તે આ રાજાશાહી વખતના કૌશલ્યના નમુના સમાન અને નગરની રક્ષા માટેનુ અડગ કલાત્મક અને વ્યુહાત્મક બાંધકામ જે લડાઇ સુરક્ષા શસ્ર સંગ્રહ વગેરે માટે ઉપયોગી હતો તે આ કોઠો રાજાશાહી વખતનુ નઝરાણુ અને સંભારણુ છે.