Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં ચોમાસાની સારી શરૂઆત બાદ વરસાદના વરસતા નિરાશાના વાદળો છવાઈ ગયા બાદ ફરી આશાનું કિરણ જાગ્યું હોય તેમ ગઈકાલે રાજ્યના કેટલાય તાલુકાઓમાં વરસાદ વરસ્યો….અને હજુ આગામી 4 દિવસ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.. ગતરોજ જન્માષ્ટમીના દિવસે રાજ્યનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર થતા લોકો સહીત જગતના તાત સાથે સામાન્ય જનતાને પણ હાશકારો અનુભવ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાનું અનુમાન પણ લગાવાવમાં આવ્યું છે.
સોમવારે એટલે કે ગઈકાલે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જ્યારે, સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યા પ્રમાણે આજથી એટલે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે.
વરસાદ ખેંચાતા ખેડૂતોના જે પાક સુકાઈ રહ્યો હતો તેને જીવનદાન મળ્યું છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ત્યારે લોકો પણ હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે કુદરત તું હવે તારી મહેર વરસાવી દે….