Mysamachar.in:જામનગર
કેન્દ્ર સરકારે દેશભરમાં અમૃત યોજના હેઠળ હજારો રેલ્વે સ્ટેશનનાં પુનઃવિકાસ માટે કાર્યવાહી આરંભી છે. આ અમૃત સ્ટેશન યોજનામાં ગુજરાતનાં કુલ 87 સ્ટેશનનો સમાવેશ થાય છે. આ 87 રેલ્વે સ્ટેશનનાં નામોમાં જામનગર અને દ્વારકા તથા ખંભાળિયા અને હાપા સહિતના હાલારના વિવિધ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અમૃત રેલ્વે સ્ટેશન યોજના અંતર્ગત પશ્ચિમ રેલવેનાં ભાવનગર ડિવિઝન દ્વારા જામનગર તથા દ્વારકા જિલ્લામાં કુલ ત્રણ રેલ્વે સ્ટેશન પર આ પુનઃવિકાસ કામગીરી હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ત્રણ રેલ્વે સ્ટેશનમાં જામનગર જિલ્લાના બે લાલપુર અને જામજોધપુર તથા દ્વારકા જિલ્લાના એક ભાણવડ રેલવે સ્ટેશન નો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર રેલવે દ્વારા આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જામજોધપુર સ્ટેશનના વિકાસ માટે રૂ.7,84,70,895 નો ખર્ચ કરવામાં આવશે. જયારે લાલપુર અને ભાણવડ રેલવે સ્ટેશન પર કુલ રૂ.6,50,81,752 નો ખર્ચ કરવામાં આવશે એમ જાણવા મળે છે.
સરકારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ દરેક રેલવે સ્ટેશન પર હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આ કાર્યવાહી શરૂ કરી છે. દેશભરમાં કુલ 1,275 રેલવે સ્ટેશન નો પુનઃવિકાસ કરવામાં આવશે. આ તમામ સ્ટેશન પર ઓપરેશનલ વિસ્તારો, વેઈટીંગ રૂમ, શૌચાલય, લિફ્ટ, એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇફાઇ, વન સ્ટેશન વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પ્રવાસી માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ વગેરે સુવિધાઓ ચકાચક બનાવવામાં આવશે અને આ તમામ સ્ટેશનને શહેરની વચ્ચે લાવવા સ્ટેશનની બંને તરફ અવરજવર થઇ શકે તે માટે દરવાજાઓ મૂકવામાં આવશે.(જામનગરમાં બેડેશ્વર તરફ પણ સ્ટેશનનો દરવાજો મૂકાશે ?) ભારત સરકારનાં રેલવે મંત્રાલય તરફથી આ કામગીરીઓ શરૂ થઈ ચૂકી છે. જામનગર રેલવે સ્ટેશન પર એસ્કેલેટર આ યોજનાનાં ભાગરૂપે જ લગાડી દેવામાં આવ્યું છે.