Mysamachar.in-જામનગર:
કોરોના વાયરસના કેસ ઘટી જતા સર્વત્ર અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકારે સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની બસ સહિતની મંજૂરીઓ આપી દીધી છે. આ ઉપરાંત ધો.12ના ક્લાસ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જામનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને ધો. 9થી 12 ના વર્ગો ઓફલાઈન ચાલુ કરવા માટે મંજૂરી માગી છે.
આ અંગે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જે રીતે ટ્યુશન ક્લાસ, સરકારી શાળાઓ તથા વાણિજ્ય એકમ શરૂ કરાયા છે એ રીતે ખાનગી શાળાને પણ ઓફલાઈન ક્લાસિસ માટે મંજૂરી આપવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે. મંડળનું એવું પણ કહેવું છે કે, છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણને મોટું નુકસાન થયું છે. સરકારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કરી આવી મંજૂરી આપવા માટે વિલંબ ન કરવો જોઈએ. ખાસ તો અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ નેટવર્કની સમસ્યા છે જેના કારણ બાળકોનું ભણવાનું બગડી રહ્યું છે. આ માટે સરકારી શાળાઓની જેમ આ વર્ગોને પણ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી એવી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જામનગરે શિક્ષણાધિકારી સમક્ષ માગ કરી છે.