Mysamachar.in-જામનગર
તાઉતે વાવાઝોડાની જામનગર જિલ્લામાં નહીવત અસર જોવા મળેલ જેના કારણે જામનગર જિલ્લાના 180 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ તેમજ 260 જેટલા વીજથાંભલાઓ તથા 250 વીજફિડરને નુકસાન થયું હતું. 62 ક્વિક રીસ્પોન્સ ટીમોએ છેક 18 કલાકના સમયમાં તમામ વીજ પુરવઠો પૂર્વવત કરી પ્રશંસનીય કામગીરી બજાવી હોવાનું સરકારી યાદી કહે છે. આટલા કલાકો પછી પણ વીજપુરવઠો કાર્યરત થયા બાદ આ અંગે ગૌરવ સાથે વધુ વિગતો આપતા PGVCLના અધિક્ષક ઈજનેર સી.કે.પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે જામનગર જિલ્લાના 180 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો.
તેમજ 260 તથા 250 જેટલા વિજ ફિડરો ક્ષતિગ્રસ્ત થયેલ હતા. ત્યારે આગોતરા આયોજન મુજબ PGVCL દ્વારા તૈયાર કરવામાં આવેલ 62 ક્વિક રીસ્પોન્સ ટીમો યુદ્ધના ધોરણે ઉપરોક્ત તમામ સ્થળોએ વિષમ પરિસ્થિતિમાં પણ કામે લાગી હતી અને વીજપુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી અને તા.18 મે 2021ના રોજ રાત્રે 09:00 કલાક સુધીમાં એટલે કે માત્ર 18 કલાકના ટૂંકા ગાળામાં જ તમામ 180 ગામોમાં વીજપુરવઠો પુનઃકાર્યરત કરવામાં સફળતા રહી હતી.
-સામાન્ય વરસાદી ઝાપટામાં પણ જામનગરના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી
ભલે PGVCLએ કલાકોમાં વીજ પુરવઠો કાર્યરત કર્યાનો સંતોષ લીધો પણ હજુ આખું ચોમાસું બાકી છે, ત્યારે જામનગર શહેરમાં તાજેતરમાં થયું તેવું જ ના થાય તેનું ધ્યાન રાખજો… કારણ કે બે દિવસ પૂર્વે જામનગર શહેરમાં 8 મીમી જેટલા કટકે કટકે પડેલા વરસાદમાં કેટલાય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઇ જતા વિસ્તારના સ્થાનીકોમાં રોષ જોવા મળ્યો હતો.