Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમને લઇને કેટલો હોબાળો થયો હતો એ આપ સૌજાણો જ છો, ખાસ કરીને હેલ્મેટને લઇને ઘણા વાદ વિવાદ થયા. હેલ્મેટના નિયમથી ભલે લોકોમાં રોષ હતો તેમ છતા મહદઅંશે લોકો હેલ્મેટ પહેરતા થયા હતા. બાદમાં અચાનક રાજ્ય સરકારે હેલ્મેટના નિયમને શહેરી વિસ્તારમાં મરજિયાત કરી દીધો. જો કે હવે વાત એવી છે કે સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટીએ રાજ્ય સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કેમ લીધો તે અંગે જવાબ માગવામાં આવ્યો છે. જો આ બાબતે રાજ્ય સરકારને નમતું જોખવાનો વારો આવ્યો તો ફરી હેલ્મેટનો કાયદો ફરજિયાત બની શકે છે.
તમને જાણીને કદાચ નવાઇ લાગશે પરંતુ સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટીએ સરકારને હેલ્મેટનો કાયદો ફરી ફરજિયાત કરવાની સૂચના આપી છે. આ સિવાય 3 મહિને રિવ્યૂ કરવાની પણ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરના રોજ રૂપાણી સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત બનાવ્યું છે. કેબિનેટની બેઠકમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાની હદના વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં છૂટછાટ આપી હતી. જોકે, રાષ્ટ્રીય કે રાજ્યના ધોરીમાર્ગો તથા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત જ રહેશે. બીજી બાજુ એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018માં લોકોએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી 1500 લોકોએ જીવ ગુમાવ્યો છે. વર્ષ 2017માં કુલ 6086 અકસ્માત થયા જેમાંથી 2190 લોકોનાં મૃત્યું થયા હતાં. આ સાથે જે અકસ્માતમાં લોકોનાં જીવ ગયા છે તેમાંથી 87 ટકા લોકો એવા હતા જેમણે હેલ્મેટ પહેર્યુ નહતું.