Mysamachar.in-જામનગર:
છેલ્લા બે મહિનાથી ઓચિંતી જ ગ્રામ્ય વિસ્તારોના વેરા માટે જે તે ગ્રામપંચાયત સફાળી કેમ જાગી છે? તે સવાલો ઉઠી રહ્યા છે, તાજેતરની જ એક સરકારી યાદી જોઇએ તો જામનગર તાલુકાના ઢીંચડા ગામના તમામ ખેતી, બીનખેતી, ગામતળ, વાણિજ્ય, શૈક્ષણિક, ઔધૌગીક રહેણાંકના હેતુ માટે પેઢી, સંસ્થા કે વ્યક્તિગત, પ્લોટ ધારકોને તથા ખેડૂતોને ઓરીયા પાઈપલાઈનના બાકીદારોને જમીન મહેસુલ, શિક્ષણ ઉપકર તથા પંચાયત વેરાઓની લ્હેણાની ભરવાની થતી રકમ તાકીદે ભરી આપવા માટે ઢીંચડા ગામના સરપંચ દ્વારા જાહેર નોટીસ આપવામાં આવી છે.
જો બાકીદારો લ્હેણાની રકમ તાકીદે નહી ભરે તો કલમ-૧૫૨ અન્વયે ચતુર્થાંશ દંડ, શિસ્તભંગ તથા મિલ્કત જપ્તી જેવા પગલા ભરવા આગળની તથા બિનખેતી પ્લોટ ધારકો પર બિનખેતી શરતભંગની કાર્યવાહી કરવામાં આવશે. બાકી નીકળતી રકમ ભરી જવા તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી બાકી નીકળતી રકમ ભરી જવા જણાવાયું છે. આવી જ દરેડ, નાધેડી, સરમત, વસઇ, અનેક ગામોની આવી જાહેરાત થઇ પરંતુ ન તો કોઇ જપ્તી થઇ ન તો કંઇ ખાસ આવક થઇ..!
ખરેખર ગામડામા તલાટીઓ રોજ જાય છે ? જાય છે તો વેરા વસુલાત નોટીસ આપે છે? આપે છે તો વસુલ કરી શકે છે આવી તો અનેક બાબતે ઉલટ તપાસ કરવી જરૂરી છે તો ઘણી અનિયમિતતા બહાર આવશે અમુક આવા અનિયમિત તલાટીઓના કારણે નિયમિત કામ કરતા ફરજ બજાવતા તલાટીઓ બદનામ થાય છે, તેમજ અમુક તલાટીઓની મીઠી નજર કે આખ આડા કાન કે અન્ય કારણોસર ગામડાઓમા અમુક મોકાની જમીનના દબાણ થયાનુ પણ ચર્ચાય છે.