Mysamachar.in-જામનગર:
દર્દીઓ માટે ડોક્ટર ભગવાન હોવાની કહેવત વર્ષોથી ચાલી રહી છે અને તબીબો પણ પોતાની જાતની પરવાહ કર્યા વગર ગમે તેવી આપત્તિઓમાં દર્દીઓને સેવા આપી સાજા કરતા હોય છે, જેથી તબીબો પ્રત્યેની આસ્થા દિન-પ્રતિદિન વધુ મજબૂત બનતી જાય છે, હાલના સમયમાં કોરોનાના કહેર વચ્ચે જામનગરના ચામડીના જાણીતા તબીબ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડોક્ટર કે એમ આચાર્ય દ્વારા પોતાનું ક્લિનિક અવિરત કાર્યરત રાખી અન્ય તબીબોને પણ હાલની પરિસ્થિતિમાં તેઓના ક્લિનિકો હોસ્પિટલો કાર્યરત રાખી દેશસેવા કરવાની અપીલ કરી છે,
તેઓએ વધુમાં જણાવ્યું છે કે પોતાના ક્લિનિકમાં દર્દીઓ વચ્ચે distance તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ સાવધાની અને સાવચેતી સાથે તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને આ સેવા તેઓ અવિરત જારી રાખશે તેવી બાબતો પણ વર્ણવી છે, સાથોસાથ વર્તમાન પરિસ્થિતિમાં અન્ય તબીબોએ પણ તેઓનાં ક્લિનિક કાર્યરત રાખી સરકારી તબીબો ઉપર દર્દીઓનું ભારણ વધે નહીં અને સામાન્ય બીમાર દર્દીઓને સારવાર મળી જાય અને તબીબો દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ દેશસેવા કરવાના આ અવસરની ગુમાવવો નહીં અને તેઓના ક્લિનિકો કાર્યરત રાખવા તેઓ અનુરોધ કર્યો છે.