Mysamachar.in-જામનગરઃ
જામનગર શહેરમાં તળાવની પાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખોટા અકસ્માત કરી વાહન ચાલકોને લૂંટ લેતી એક ત્રિપુટી સક્રિય થઇ હતી, બાદમાં LCBની ટીમે વોચ ગોઠવી પેટ્રોલિંગ દરમિયાન ત્રણેય ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી, પુછપરછમાં જાણવા મળ્યું કે આ ટોળકીએ અત્યારસુધીમાં 30 વાહન ચાલકોને અકસ્માતનું બહાનું બતાવી લૂંટી લીધા છે. આ ટોળકી ભંગાર જેવું બાઇક લઇને રસ્તા પર પસાર થતા વ્યક્તિના વાહન સાથે અકસ્માત સર્જતા હતા. બાદમાં બાઇકમાં નુકસાન થયું હોવાનું કહી એક હજાર રૂપિયાથી લઇને પાંચ-છ હજાર રૂપિયા પડાવતા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં વિક્ટોરિયાપુલ, ગુલાબનગર, તળાવની પાળ, સમસાન ચોકડી, નુરી ચોકડી, ઠેબા ચોકડી, ભીમવાસ, અંબર ચોકડી, મહાપ્રભુજીની બેઠક, દરેડ GIDC, લાલપુર બાયપાસ ચોકડી વગેરે અલગ અલગ જગ્યાએ રોડ પર પસાર થતા વાહન ચાલકો સાથે ખોટા અકસ્માતનું બહાનું બતાવી વાહન ચાલકો પાસેથી રોકડની લૂંટ ચલાવવામાં આવતી હોવાના બનાવો પોલીસને ધ્યાને આવ્યા, આ અંગે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ગોહીલ તથા PSI આર.બી.ગોજીયાએ તપાસ હાથ ધરી હતી. ત્રણ શંકાસ્પદ ઇસમો સિલ્વર કલરની મોટર સાયકલ GJ.10.DC5849 લઇ લૂંટની ઘટનાને અંજામ આપવા ઉભા હોવાની બાતમી મળી હતી. જેઓને પેટ્રોલિંગ સ્ટાફે ઝડપી પૂછપરછ હાથ ધરી હતી, ઝડપાયેલા ત્રણેય ઇસમો મનહરસિંહ ઉર્ફ ભીખો જાડેજા, રહે. ધરારનગર, એહમદ પીંજારા, રહે.ધરારનગર, અનવર ભડેલા રહે.ધરારનગર-1 પાસેથી એક્સેસ મોટરસાયકલ તથા લૂંટ કરેલ રોકડ 10,000 રૂપિયા તથા મોબાઇલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા છે.