Mysamachar.in-જામનગરઃ
ગણેશ ચતુર્થી આવતાં જ લોકો ભગવાન ગણપતિની ધામધૂમપૂર્વક સ્થાપના કરી પુજાપાઠ કરતાં હોય છે, આ તહેવારમાં POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું વેચાણ થતું હોય છે, જો કે પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન પહોંચતું હોવાથી મહાનગર પાલિકા દ્વારા આવી મૂર્તિઓ બનાવવા તથા વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જો કે તેમ છતા કાયદાનું ઉલ્લંઘન કરી POPની મૂર્તિઓ બજારમાં જોવા મળે છે, આથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા મૂર્તિઓ જપ્ત કરવામાં આવે છે. જો કે પર્યાવરણનું કારણ ધરી જપ્ત કરવામાં આવેલી મૂર્તિઓ મનપા કચેરીમાં ધૂળ ખાઇ રહી છે, એટલું જ નહીં કેટલીક મૂર્તિઓ ખંડિત થઇ રહી છે. ખૂદ મનપાના પટ્ટાંગણમાં કચરાના ઢગલામાં પડેલી ગણેશજીની મૂર્તિઓ હટાવવાનો મહાનગર પાલિકા પાસે સમય અને દાનતનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં મહાનગર પાલિકાના પટ્ટાંગણમાં જે જગ્યાએ મૂર્તિઓ પડી છે તેની નજીક ગંદકીના થર જામ્યા છે. ત્યારે ગણેશજીની મૂર્તિઓની સ્થિતિ જોતા જાહેર જનતાની ધાર્મિક લાગણી પણ દૂભાઇ રહી છે. ત્યારે નિંદ્રામાં રહેલા મહાનગર પાલિકાના અધિકારીઓ ક્યારે આ બાબતને ગંભીરતાથી લેશે તે જોવું રહ્યું.