Mysamachar.in-રાજકોટઃ
રાજકોટ આવેલા ઊર્જામંત્રી સૌરભ પટેલને કડવો અનુભવ થયો, અહીં 614 લાખના ખર્ચે બનેલા 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવા આવેલા ઊર્જામંત્રીને ભાષણ બાદ ખેડૂતોએ હકીકત વર્ણવી રોકડું પરખાવ્યું હતું. ઊર્જામંત્રીએ ખેડૂતોને લઇને અનેક મોટી મોટી વાતો કરી પરંતુ બાદમાં ખેડૂતોએ વીજળીને લઇને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરતાં ઊર્જામંત્રીની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ હતી. બન્યું એવું કે ઊર્જામંત્રીએ ભાષણમાં કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં 24 કલાક વીજળી પહોંચાડવાના ધ્યેય સાથે જ્યોતિગ્રામ યોજના થકી ગામડે ગામડે વીજળી પહોંચાડી કૃષિક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. આટલું સાંભળતા જ આસપાસના ગામના ખેડૂતો ઊર્જામંત્રીને વીજળી સંબંધિત ફરિયાદ કરવા પહોંચી ગયા હતા અને રૂબરૂ જ લેખિતમાં જણાવ્યું હતું કે, ખરેખર ખેડૂતોને 8 કલાક વીજળી મળે છે, એ પણ રાત્રે 1 વાગ્યા બાદ મળે છે એમાં પણ અવારનવાર કાપ આવી જતા માંડ 5 કલાક વીજળી મળે છે. હવે રાત્રે વીજળી આપે તો ખેતરમાં કડકડતી ઠંડીમાં, જર-જનાવરના ભય વચ્ચે અંધારામાં પાણી વાળવા જવું મુશ્કેલ પડે છે.
કેટલાક નારાજ ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેલેન્જ આપતાં જણાવ્યું કે 'રાત્રે પાણી વાળવામાં કેટલી મુશ્કેલી પડે છે, તે અંગે જ સરકારને વિશ્વાસ ન હોય તો 182 MLA રાતે એકવાર ખાલી પાણી વાળી બતાવે', બિલિયાળા સહિતના ગામડાઓના ખેડૂતોએ ઊર્જામંત્રી સામે વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરતા સરકારી યોજનાઓ માત્ર કાગળ પર કામ કરતી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. ભરશિયાળે ઠંડીમાં ખેડૂતોએ રાત્રે પાણી વાળવા જવું પડે છે. વધારે મજૂરી ચૂકવવા છતાય કોઇ મજૂર કામે આવવા તૈયાર થતા નથી. રાત્રે જીવજંતુ અને હિંસક પ્રાણીનો પણ ભય રહે છે. કડકડતી ઠંડીમાં ખુલ્લા પગે ખેતરો ધમરોળતા ખેડૂતો બીમાર પડી જાય છે. રાત્રીના અંધારામાં 20 થી 25 ટકા પાણીનો બગાડ પણ થાય છે. રાત્રીના સમયે પાઇપલાઇન તૂટે કે મોટર અને સ્ટાર્ટર બળી જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાય છે. આ તમામ મુદ્દાઓ ધ્યાને લઇ દિવસના સમયે ખેડૂતોને વીજળી આપવા કિસાન સંઘે માગણી ઉઠાવી છે અન્યથા આંદોલનના માર્ગે વળવાની ચીમકી ઉચ્ચારી છે.