Mysamachar.in-જામનગર:
પ્રવાસન સ્થળોના વિકાસ માટે તેમજ પ્રવાસી સુવિધાઓ લોકો માટે વિકસાવવા અંગેના વિવિધ કાર્યોની ચર્ચા-વિચારણા કરવા માટે કલેક્ટર કચેરી ખાતે કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં સીદસર ખાતેના ઉમિયા માતાજી મંદિરમાં પ્રવાસન સુવિધા વિકસાવવા વધારાના ગઝીબોની મંજૂરી, ભુચરમોરી ખાતે પ્રવાસન સ્થળ વિકસાવવા, લાલપુરના મચ્છુ બેરાજા ગામે મચ્છુ માતાના પૌરાણિક મંદિરના વિકાસ, જામજોધપુરના ગોપનાથ મંદિર, ઝીણાવારીના સૂર્યમંદિર, રણુજા રામદેવપીર, દાણીધારના શ્રીનાથજી દાદાની જગ્યા, સીદસરના બાવસી માતાજી મંદિર જેવા ધાર્મિક સ્થળો એ પ્રવાસન વિશે અને લોકોને વિવિધ સુવિધાઓ પણ મળી રહે તે માટેના પ્રોજેક્ટ અંગે અને તેના અમલીકરણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સાથે જ જામનગરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પીરોટન ટાપુ પર પ્રવાસન વિકાસ માટે ટાપુ ખાતે પ્લાસ્ટિક મોડ્યુલર ફ્લોટિંગ બનાવવા તથા રોઝી બંદર બહાર જેટી બનાવવા અંગે અને ખીજડીયા પક્ષી અભયારણ્યમાં સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી પ્રવાસન સુવિધાઓ વિકસાવવા બાબતની સુવિધાઓ વિશે સમિતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા, જિલ્લા વન સંરક્ષણ અધિકારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર, વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.