Mysamachar.in-જામનગર:
વાહનચાલકો માટેની પુરતી સુવિધાઓ તો છે નહિ અને શહેર તેમજ ઘણા નાના મોટા હાઇવે એવા બદતર છે કેમ કે ખાડા, વળાંક જરૂર વગરના સ્પીડ બ્રેકર જ્યા જરૂર નહિ ત્યા… વળી સ્પીડ બ્રેકરો જોખમી વળાંક સાકડા રસ્તા રોડની બંને સાઇડ ઉપર પુરતી વ્યવસ્થાનો અભાવ જોખમી ડાયવર્ઝન કામ ચાલતા હોય ત્યા પુરતા સાઇન બોર્ડના અભાવ તેમજ રાત્રે શહેર કે હાઇવે ઉપર જરૂરી સલામતિના અભાવ સાથે વાહન ચાલકો માટે અજવાળાના પણ અભાવ ઉપરાંત રસ્તા ઉપર ઢોર સહિતની જોખમી અડચણો વચ્ચે સલામતિના અભાવ છે તો માર્ગ સલામતિ સપ્તાહની ફલશ્રુતિ શુ? આ નર્યુ નાટક બની રહે છે.
રાજયની સાથે જામનગરમાં પણ આરટીઓ અને ટ્રાફીક પોલીસ દ્વારા ગઈકાલથી 31 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.પરંતુ નવાઇની વાત એ છે કે,છેલ્લાં ઘણાં વર્ષોથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોવા છતાં જામનગરમાં સુચારૂં ટ્રાફીક નિયમન, સ્પીડ બ્રેકરો પર પટ્ટાનો અભાવ, આડેઘડ પાર્કિંગની સમસ્યા જેમની તેમ છે. આટલું જ નહીં આશ્ચર્યની બાબત તો એ છે કે, અકસ્માતો નિવારવા, ટ્રાફીકના નિયમોથી લોકોને માહિતગાર કરવા દર વર્ષે જામનગરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, પણ માર્ગો પર લોકોની સલામતી માટેના નિયમોના અમલીકરણ અને સુવિધા માટેના નકકર આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે.
તો વળી જામનગરમાં જી.જી.હોસ્પિટલ ચોકડી, નાગનાથ ગેઇટ, અંબર ચોકડી સહિતના મુખ્ય માર્ગો પર ટ્રાફીક નિયમન સુચારૂં રીતે થાય તે માટે લાખોના ખર્ચે ટ્રાફીક સિગ્નલ મૂકવામાં આવ્યા છે.અગાઉ આ સિગ્નલ ચાલુ-બંધ રહેતા હતાં.પરંતુ હાલની સ્થિતિમાં સિગ્નલ ચાલુ હોવા છતાં આ માર્ગો પર સુચારૂં ટ્રાફીક નિયમનનો અભાવ જોવા મળી રહ્યો છે.જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.